રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જમીન પ્રકરણમાં કરાયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસનો મામલો ધીમે ધીમે રાજકિય રંગ પકડી રહ્યો છે. રાજકોટની વાતના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે.ગૃહ વિભાગે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને આ અંગે એક આદેશ કર્યો છે. સમગ્ર તપાસનો રીપોર્ટ ત્રણ દિવસમાં રજૂ કરવાની તાકીદ ગૃહ વિભાગે કરી છે. રાજકોટ ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલી ફરિયાદની ગંભીરતાથી નોંધ લઈ મનોજ અગ્રવાલની તાત્કાલિક અસરથી બદલી કરવાનો તખ્તો ઘડાઇ ગયો હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું છે.
ગૃહ વિભાગે આ બાબતે અધિક મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું કે, ડીજીને ત્રણ દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવાની તાકીદ કરી છે. જોકે હાલમાં ક્યાં મુદ્દે તપાસ ચાલુ છે એ જાણવા મળ્યું નથી. મામલો જમીન મુદ્દે હોવાનો ઘટસ્ફોટ ભાજપના નેતા ગોવિંદ પટેલે કર્યો છે. રાજકોટના વેપારી સાથે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. કમિશનરે વસૂલાયેલી રકમનો 15 ટકા હિસ્સો પીઆઈ ગઢવી મારફતે માગ્યો હતો અને વસૂલાયેલા 7 કરોડ સામે 75 લાખ પડાવ્યા હતા. વેપારી મહેશ સખિયા સાથે 15 કરોડની છેતરપિંડીના મામલામાં પૈસા પડાવ્યાની ફરિયાદ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી હતી. છેવટે ગોવિંદ પટેલ અને સાંસદ મોહન મોકરિયાએ સમગ્ર બાબતનો પર્દાફાશ કર્યો હતો.

