રાજકોટમાં ક્રિકેટરની જિંદગી બરબાદ કરનાર મહિલા ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયાનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. મહિલા ડ્રગ્સ પેડલરે યુનિવર્સિટી રોડ ઉપર રહેતા યુવાનને અવાર નવાર માનસિક ત્રાસ આપતા યુવાને આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિવારજનોએ ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયાના ત્રાસના કારણે પોતાના પુત્રએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ મહિલા ડ્રગ્સ પેડલરે પોલીસ પણ મારૂ કંઈ જ નહીં બગાડી શકે જેવા શબ્દો કહ્યાં છે.

રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી ભીડભંજન સોસાયટીમાં રહેતા જય રાઠોડે આજે સવારે પોતાના ઘરે આર્થિક ભીંસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. ત્યારે પરિવારજનોએ મહિલા ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયાના ત્રાસના કારણે પોતાના દિકરાએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે પણ યુવાને આર્થિક ભીંસથી કંટાળીને યુવાને આપઘાત કર્યાનું નિવેદન આપ્યું છે. પરિવારજનોના નિવેદનો નોંધીને આપઘાત કરવા માટે મજબુર કરનાર મહિલા ડ્રગ્સ પેડલર સામે પણ ફરિયાદ નોંધાઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં થોડા સમય પહેલા એક યુવા ક્રિકેટરની માતાએ પોતાનો પુત્ર ડ્રગ્સના રવાડે ચડી ગયો હોવાનું અને બે દિવસ સુધી તે ઘરે પણ નહીં આવ્યો હોવાની કબુલાત મીડિયા સમક્ષ આપ્યા બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમજ તેણે પોલીસને 8 જેટલા ડ્રગ્સ પેડલરોના નામ પણ આપ્યાં હતા. જે બાદ પોલીસે ડ્રગ્સ પેડલરોને પકડવા માટે પોલીસ સક્રિય થઈ હતી અને આવા ડ્રગ્સ પેડલરોને ઝડપી લીધા હતાં.

