ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં અમદાવાદથી મૌલાન સહિત ત્રણની ધરપકડ થયા બાદ હથિયાર રાજકોટથી આવ્યાનું ખુલતા તપાસનો દોર શરૂ થયો છે. મૌલાનાને હથિયાર થોરાડા વિસ્તારમાં રહેતો અજીમ સમા નામના વ્યક્તિએ આપ્યું હોવાની શંકાના આધારે પોલીસે દરોડાની કામગીરી કરી હતી. પરંતુ બંને આરોપી બંધુ ફરાર થઈ જતા તમામ જિલ્લાની પોલીસને એલર્ટ કરી દેવાઈ હતી.

જેમાં મોરબી નજીકથી અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ મોડી રાત્રીના રાજકોટના મિતાણા નજીકથી પોલીસે મુખ્ય આરોપી અજીમ સમાની ધરપકડ કરી હતી. ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં અમદાવાદના મૌલાનાને હથિયાર મોકલનાર રાજકોટના મુખ્ય આરોપી અજીમ સમાની મોડી રાત્રીના રાજકોટના મિતાણા ગામ નજીકથી એસઓજીએ ધરપકડ કરી એટીએસને સોંપ્યો છે.

આ કેસમાં અત્યારસુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સવારથી જ રાજકોટ, વાંકાનેર અને મોરબીમાં અજીમ સમાની તપાસ હાથ ધરી હતી.મોરબી બી ડિવિઝન પોલીસે અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત કરી હતી. જે બાદ તેને અમદાવાદની ક્રાઈમબ્રાંચને સોંપાયો હતો. આરોપીની પુછપરછ હાથ ધરતા તેનો ભાઈ અસીમ સમા રાજકોટ નજીક મિતાણા ગામે ચાલ્યો ગયો હોવાનું સામે આવતા રાજકોટની એસઓજી પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ખાસ ટીમ બનાવી હતી.

જેમાં ગણતરીની કલાકોમાં મૌલાનાને હથિયાર આપનાર મુખ્ય આરોપીની મિતાણા ગામ નજીકથી એસઓજીએ ધરપકડ કરીને અમદાવાદ એટીએસને સોંપી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ધંધુકામાં માલધારી યુવાન કિશન ભરવાડની હત્યા કેસમાં કટ્ટરવાદ સામે આવ્યાં બાદ ઝડપાયેલા આરોપીઓએ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યાં હતાં. જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જો કે આ કેસમાં આગામી દિવસોમાં હજું મોટા ખુલાસાઓ થશે તેવી આશંકાઓ પણ દેખાઈ રહી છે.

