દ્વારકા જિલ્લામાં કોરોના કેસો વધતા વહિવટી તંત્ર દ્વારા તા. 23 સુધી જગતમંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યાં હતાં. એક સપ્તાહ સુધી દ્વારકા મંદિરના દર્શન બંધ રહ્યાં બાદ આજે સવારથી કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ફરીથી મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યાં છે.

દ્વારકા જગતંદિરમાં ભગવાન દ્વારકાધીશના દ્વાર આજે સોમવારથી ખુલ્યાં છે. કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને દેવસ્થાન સમિતિ દ્વારા એક સપ્તાહ સુધી જગતમંદિરના દ્વાર બંધ રખાયા બાદ આજે ખુલ્યાં છે. જેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચ્યાં હતાં.

આજે જગતમંદિરના દ્વાર ફરીથી ખુલતા સ્થાનિકો ઉપરાંત દ્વારકાના ધંધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે સાડા છ વાગ્યે જગતમંદિરના દ્વાર ખુલ્યા બાદ મંગલા આરતીના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં હતાં. નિયમિત રીતે દર્શન કરવા માટે આવતા ભાવિકો પણ આજે સવારથી જ રાજાધિરાજના દર્શન કરવા માટે લાઈન લગાવી હતી. તેમજ ચુસ્તપણે કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવાયું હતું.

