ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામેની વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં 31 રને હારી ગઈ હતી. હવે શ્રેણીની બીજી મેચમાં ટીમ માટે ‘કરો યા મરો’ મેચ સાબિત થશે. આ જ કારણ છે કે હવે ટીમે પોતાના શ્રેષ્ઠ ખેલાડીઓ અને શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરવું પડશે. બીજી વનડે માટે એવા ત્રણ સંભવિત ફેરફારો થઈ શકે છે જેનાથી ભારતીય ક્રિકેટ ટીમને ફાયદો થાય એમ છે. જે દક્ષિણ આફ્રિકાને હરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્ટાર દીપક ચહર પણ ODI સીરિઝમાં ભારતીય ટીમનોસભ્ય છે, પ્રથમ મેચમાં તેને ટીમ કોમ્બિનેશનના કારણે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની તક મળી શકી ન હતી, પરંતુ હવે બીજી મેચમાં કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ ચોક્કસ આ ખેલાડી પર નજર રાખશે. દીપક ચહરમાં મેચની શરૂઆતમાં બોલને સ્વિંગ કરવાની ક્ષમતા છે. તેની સાથે ચહર જાણે છે કે બેટથી ટીમ માટે કેવી રીતે યોગદાન આપવું. પ્રથમ મેચમાં શાર્દુલ ઠાકુરની બોલિંગ ઘણી મોંઘી સાબિત થઈ હતી. જો કે ઠાકુરે બેટિંગમાં છેલ્લે સુધી ફાઈટ આપી હતી. પરંતુ ટીમમાં તેની મુખ્ય ભૂમિકા એક બોલરની છે, જેના કારણે બીજી વનડેમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ દીપક ચાહર ટીમમાં સામેલ થઈ શકે છે. ટીમને શ્રેણીમાં પરત લાવવામાં મહત્વની અને મોટી ભૂમિકા ભજવી શકે છે.

બધા ભારતીય ચાહકો સૂર્ય કુમાર યાદવની પ્રતિભાથી વાકેફ છે. આમ છતાં આ બેટ્સમેન પ્રથમ વનડેમાં ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. શ્રેયસ અય્યર પ્રથમ મેચમાં 5માં નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો, પરંતુ તે બેટથી કંઈ ખાસ કરી શક્યો ન હતો. જો કે ઐય્યર પણ ખૂબ જ ટેલેન્ટેડ ખેલાડી છે, તેમ છતાં કોઈ ખોટું બોલી શકે નહીં કે આ મેચમાં હારનું કારણ શું છે. મિડલ ઓર્ડર ફ્લોપ રહેવાના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો હતો. જેનું પરિણામ હારનું આવ્યું.

અય્યરે પ્રથમ મેચમાં માત્ર 17 રન બનાવ્યા હતા, ત્યારબાદ તે લુંગી એનગિડીના બોલ પર આઉટ થયો હતો. અહીંથી મેચ ભારતીય ટીમના હાથમાંથી સરકવા લાગી. મેચ દરમિયાન સાઉથ આફ્રિકાના સ્પિન બોલિંગના આક્રમણ સામે ભારતીય ખેલાડીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. આ જ કારણ છે કે હવે ભારતીય ટીમ સ્પિન સામે સર્વશ્રેષ્ઠ રમતા સૂર્યકુમાર યાદવ તરફ પસંદગી ઊતારી શકે છે. શ્રેયસની જગ્યાએ સૂર્યકુમારને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
મોહમ્મદ સિરાજે ભૂતકાળમાં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. બોલિંગ કરતી વખતે સિરાજનું એગ્રેશન વિરોધી ટીમ પર વધુ દબાણ લાવે છે. દક્ષિણ આફ્રિકાની સ્થિતિ હંમેશા ફાસ્ટ બોલરોના ફેવરમાં રહી છે. આવી સ્થિતિમાં તેનું બેન્ચ પર બેસવું ટીમ માટે પોઝિટિવ સાઈન નથી.

પ્રથમ મેચમાં ટીમનો અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર કોઈ ફોર્મમાં જોવા મળ્યો ન હતો, તેણે 10 ઓવરના ક્વોટામાં 64 રન ખર્ચીને એક પણ સફળતા મેળવી ન હતી. આ જ કારણ હતું કે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને દબાણમાં ન લાવી શકી. તેના બે બેટ્સમેનોએ સદી પણ ફટકારી. આ દરમિયાન ભુવનેશ્વરનો સ્વિંગ અને સ્પીડ બંનેમાં તેની ક્ષમતા દેખાડી શક્યો નહીં. હવે જો બીજી મેચમાં ભુવનેશ્વરની જગ્યાએ સિરાજને ટીમમાં સ્થાન આપવામાં આવે છે તો આ ફેરફાર ટીમ માટે ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે.

