ભાવનગર શહેરમાં લોકરક્ષક દળના જવાન તરીકે ફરજ બજાવતા એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ હેડક્વાર્ટરની અગાશી પર જઈને કેબલના વાયર વડે ગળેટૂંપો દઈને આત્મહત્યા કરી છે. આ જવાને ક્યા કારણોસર આવું પગલું ભર્યું એ જાણવા મળ્યું નથી. આ ઘટનાની જાણ થતા જ પોલીસના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ ઘટના અંગે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાવનગર શહેર પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ડ્યૂટી કરતા જવાન પ્રદિપસિંહ ભાવુભા પઢિયારે ગુરૂવારે અચાનક આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. વહેલી સવારે પોલીસ હેડક્વાર્ટરની અગાશીએ જઈને કેબલના વાયરનો ઉપયોગ કરીને જીવન ટૂંકાવી દીધું હતું. જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા વિશ્રાંતી ભવનની સામે આવેલા ક્વાર્ટરની અગાશીમાં ગ્રીલ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા સી ડિવિઝન પોલીસ સ્ટાફ તથા Dysp સફિન હસન સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સરટી હોસ્પિટલમાં ખસેડ્યો છે. આ ઘટનાને કારણે પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ક્યા કારણોસર યુવાને આ પગલું ભર્યું એ સામે આવ્યું નથી.

પોલીસે કાયદેસરની તપાસ ચાલું કરી દીધી છે. આ ઉપરાંત પોલીસે એના પરિવારજનોની પણ પૂછપરછ કરી છે. છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં અકાળે જીવન ટૂંકાવનારા યુવાનોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. લોકોમાં ચર્ચા એવી પણ છે કે, યુવાને હેડક્વાર્ટરમાં રહીને આવું પગલું ભર્યું છે. આ ઉપરાંત કોઈ કારણ પણ સામે આવ્યું નથી. આ પહેલા મોરબી જિલ્લામાંથી પણ એક યુવતીએ અકાળે જીવન ટૂંકાવી લીધું હતું.

