રાજ્યમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે રાત્રીકર્ફ્યુ સહિતની અમલવારી મુદ્દે આજે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર સહિતના 7 શહેરો અને બે નગરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ધો. 1થી9 સુધીની શાળાઓમાં ચાલતા વર્ગોને તા. 31 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યાં છે.

શુક્રવારે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક મળી હતી. જે બાદ રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી તેમજ ચિફ પ્રિન્સિપાલ સેક્રેટરી, મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા, અધિક મુખ્ય સચિવ જેવા મોટા અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
આજે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહિવટી તંત્રની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી. pic.twitter.com/yB2IlPIbzY
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 7, 2022
રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં રાજ્યમાં રાત્રે 11થી 5 વાગ્યા સુધીનો રાત્રી કર્ફ્યુનો સમય હતો તેમાં હવે ફેરફાર કરીને રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધી કકરાયો છે. તો રેસ્ટોરન્ટમાં 70 ટકાની ક્ષમતા સાથે જ ખુલ્લી રાખવા માટે પરવાનગી આપી છે. આ ઉપરાંત રાજ્યની શાળાઓમાં ધો. 1થી 9ના ઓફલાઈન વર્ગોને તા. 31 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવ્યાં છે.

આ ઉપરાંત નવી ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને આણંદ, નડીયાદમાં રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુની અમલવારી કરાશે. આ ઉપરાંત દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત લગ્ન સમારંભમાં 400 લોકોની મર્યાદા યથાવત્ત રખાઈ છે. તો બંધ સ્થળે યોજાના લગ્ન સમારંભોમાં ક્ષમતાના 50 ટકા લોકોની મર્યાદા નક્કી કરાઈ છે.

