વર્ષ 2021 દરમિયાન ભારતે મોટા પ્રમાણમાં સોનાની આયાત કરી હતી. એક રિપોર્ટ અનુસાર, દેશે સોનાની આયાતમાં 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ભારતે 1,050 ટન સોનાની આયાત કરી, જેના પર કુલ $55.7 બિલિયનનો ખર્ચ થયો. ભારતે 1,050 ટન સોનાની આયાત કરી, જેના પર કુલ $55.7 બિલિયનનો ખર્ચ થયો. 2021માં સોનાની આયાતનો આ આંકડો ગત વર્ષની સરખામણીએ બમણો છે, જ્યારે વર્ષ 2011 પછી તે સૌથી વધુ છે.

સોનાની સૌથી ઓછી આયાતની વાત કરીએ તો 2020માં કોરોના મહામારીને કારણે 23 અબજ ડોલરથી ઓછી કિંમતના સોનાની આયાત કરવામાં આવી હતી. ડેટા અનુસાર, 2020માં ભારતમાં લગભગ 430 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. તે જ સમયે, 2011માં વિદેશમાંથી $53.9 બિલિયનનું સોનું ખરીદવામાં આવ્યું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) અનુસાર, 2021 માં પરિસ્થિતિમાં સુધારાને કારણે, તહેવારો અને લગ્નની સિઝન દરમિયાન ઘરેણાંની માંગ વધી છે. જેને પહોંચી વળવા વેપારીઓએ વધુ સોનાની આયાત કરી છે. WGCના રિપોર્ટમાં જણાવાયું છે કે ગયા ઓક્ટોબર અને નવેમ્બરમાં તહેવારોની સિઝન દરમિયાન ભારતીયોએ સોનાની ભારે ખરીદી કરી હતી. આ પછી લગ્નની પીક સીઝનમાં પણ સોનાનું વેચાણ વધ્યું છે. ભારતે ડિસેમ્બરમાં 86 ટન સોનાની આયાત કરી હતી.

સોનાના વપરાશની બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. દેશમાં વપરાતું મોટા ભાગનું સોનું વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. સોનાની કુલ આયાતમાંથી 44 ટકા સ્વિટ્ઝર્લેન્ડથી અને 11 ટકા સંયુક્ત આરબ અમીરાતમાંથી ખરીદવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન કોઈપણ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સોનાની આયાતના ડેટા પર નજર કરીએ તો 2014-15માં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન 339.3 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. એક હકીકત એવી પણ છે કે ભારતમાં દરરોજ સોનાના ભાવમાં ફેરફાર થઈ રહ્યા છે. ખાસ કરીને લગ્નની સીઝનમાં આ માંગ વધી જાય છે. પણ છેલ્લા બે વર્ષથી કોરોનાએ મચાવેલા કહેરને કારણે નવા સોના કરતા લોકો પોતાનું ગોલ્ડ અપગ્રેડ કરાવી રહ્યા છે. નવા સોના પર ખરીદીથી છેલ્લા ત્રણ વર્ષમાં ખૂબ જ ઘટી ગઈ છે. ત્રીજી વેવના જોખમ વચ્ચે ઘણા રોકાણકારો સોનામાં રોકાણ કરીને સૌથી સુરક્ષિત પગલું માની રહ્યા છે. ખાસ કરીને શેર માર્કેટમાં કડાકા બોલ્યા બાદ રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માની રહ્યા છે. જોકે, સોની વેપારીઓ કહે છે કે ટેક્સને કારણે સોનાના ભાવમાં ફેર પડ્યો છે.

