ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ જેટગતિએ વધી રહ્યું છે. સેકન્ડ વેવ બાદ હવે જે રીતે કેસ વધે છે એમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓના રીપોર્ટ પણ પોઝિટિવ આવી રહ્યા છે. ઘણી બધી સ્કૂલ્સમાંથી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાના અહેવાલ મળ્યા બાદ કોરોનાના કેસ હવે યુનિવર્સિટીમાંથી સામે આવ્યા છે. સૌથી મોટા સમાચાર છે કે, સુરત જિલ્લામાં આવેલી ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં એક સાથે 57 વિદ્યાર્થીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આટલી મોટી સંખ્યમાં વિદ્યાર્થીઓના રીપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે.

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓનો એક વર્ગ સંક્રમિત થઈ રહ્યો છે. હવે તંત્ર સામે પ્રશ્ન એ ઊભો થયો છે કે, વિદ્યાર્થીઓને કોરોનાના શિકાર થતા કેવી રીતે બચાવી શકાય? બીજી તરફ જીતુ વાઘાણી પણ સ્પષ્ટા કરી ચૂક્યા છે કે, સ્કૂલ બંધ કરવા મુદ્દે યોગ્ય સમયે નિર્ણય લેવાશે. રાજ્યમાં કિશોરવયના વિદ્યાર્થીઓ માટે વેક્સીનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. બારડોલીની ઉકા તરસાડિયા યુનિવર્સિટીના 479 વિદ્યાર્થીઓમાંથી 57 વિદ્યાર્થીઓનો રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. વિદ્યાર્થી ગ્રૂપ તથા વાલીઓ સહિત સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. તાજેતરમાં જ 82 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 14 વિદ્યાર્થીઓના રીપોર્ટ પોઝિટિવ મળ્યા હતા. 479 વિદ્યાર્થીઓમાંથી 170 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કૉલેજ તથા હોસ્ટેલ મળીને પોઝિટિવ કેસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 57 સુધી પહોંચી છે. આ તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં આઈસોલેટ કરી જરૂરી ટ્રિટમેન્ટ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગને પણ આ અંગે જાણ કરાઈ છે. શાળાઓ બાદ યુનિવર્સિટીમાં કોરોનાના કેસ વધતા ખરા અર્થમાં ચિંતા વધી છે.
બીજી તરફ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે. બોર્ડના વિદ્યાર્થીઓને બાદ કરતા મોટી સંખ્યામાં એવા વાલીઓ છે જેણે ફરી ઓનલાઈન ક્લાસ લેવા માટે સ્કૂલ્સમાં વાત કરી છે. તો કેટલાક વાલીઓએ પોતાના સંતાનોને શાળા એ મોકલવાનું બંધ કરી દીધું છે. ત્રીજી વેવનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર શિક્ષણ અંગે યોગ્ય કોઈ નિર્ણય લઈ રહી નથી. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને સતત પ્રશ્નો કરાતા તેઓ પણ કોઈ સ્પષ્ટતા કરવાનું ટાળી રહ્યા છે.

