સુરતના સિટી લાઈટમાં એક જ પરિવારના 5 સભ્યો કોરોનાની ઝપેટમાં આવી જતા આરોગ્ય તંત્રની ચિંતા એકાએક વધી ગઈ છે. બાકીના બે પરિવારોમાં ત્રણ અને ચાર સભ્યોને ચેપ લાગ્યો હોવાના રીપોર્ટ સુરત સિટીમાંથી મળ્યા છે. દેશના અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસમાં વધારો થતા લોકોમાં હવે એક ફફડાટ જોવા મળી રહ્યો છે. છતાં કેટલાક લોકો બેદરકારી પૂર્વક વર્તન કરી રહ્યા છે. ત્રીજી વેવનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે બીજી વેવ જેવા લક્ષણો સામે આવ્યા છે.
બીજી વેવ દરમિયાન સુરત સિટીની સ્થિતિ ખૂબ ગંભીર રહી હતી. આવો માહોલ જાણે ફરી શરૂ થવાના એંધાણ આપી રહ્યો હોય એવો કેસ સામે આવ્યો છે. સુરત શહેરમાંથી એક જ પરિવારના એકથી વધારે સભ્યો કોવિડ પોઝિટિવ આવતા દોડધામ મચી ગઈ છે. સુરત મહાનગની એક ઘટનામાં સિટી લાઈટના સુર્યા એંક્લેવમાં રહેતા એક જ પરિવારના 5 વ્યક્તિઓનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ કારણે સૂર્યા એંક્લેવને કલ્ટસ્ટ ઝોન જાહેર કરી દેવાયું છે. એક મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે ગુરૂવારે શહેરના કતારગામમાં આવેલી જીવનદીપ સોસાયટીમાંથી પણ આ જ રીતે એક કુટુંબના 4 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. શહેરમાં બેકટુ બેક આવા કેસ બન્યા છે. જેના કારણે આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. તો અડાજણ વિસ્તારમાં એક પરિવારના ત્રણ વ્યક્તિઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ જ ચિત્ર કોવિડની બીજી વેવ વખતે જોવા મળ્યું હતું.

મંગળવારે સુરત સિટીમાંથી 72 કેસ મળ્યા હતા. જ્યારે અમદાવાદમાંથી 265 કેસ થયા હતા. પણ કોઈ વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું નથી. જ્યારે જામનગર શહેરમાં કોરોના વાયરસને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. બુધવારે ગુજરાત રાજ્યમાં કુલ 548 કેસ થયા હતા. જ્યારે 65 દર્દીઓ સ્વસ્થ થયા છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. તો ધીમી ગતિએ વણસી રહેલી સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ દરરોજ એક વખત કોર કમિટીની બેઠક યોજવા આયોજન કર્યું છે. તો બીજી તરફ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં ટેસ્ટિગ ડોમ ઊભા કરી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તબક્કે કુલ છ વિસ્તાર પસંદ કરાયા છે. એ પછી સ્થિતિને જોતા ટેસ્ટિંગ ડોમ વધારવા નિર્ણય લેવાશે.

