ગીરનાર જંગલના સિંહને જંગલ છોડીને બીજી જગ્યાએ રહેવાનું પસંદ પડી રહ્યું હોય એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને રાજકોટ જિલ્લાના કેટલાક સેન્ટરમાં સિંહના આટા ફેરા વધી ગયા હોય એવા અનેક વીડિયો તથા ફોટા સામે આવ્યા છે. હાલમાં જ ગોંડલ પંથકમાંથી વન વિભાગે સિંહ ત્રિપુટીને રેસ્કયુ કરી જંગલમાં છોડી દીધી હતી. આથી ગોંડલના ગ્રામ્ય વિસ્તારનાં લોકોએ રાહત અનુભવી હતી. જોકે આ વાતને હજુ સપ્તાહ પણ થયું નથી ત્યાં ફરી એક સિંહણ અને બે બચ્ચા ગોંડલ પંથકમાં દેખાતા ફરી ફફડાટ જન્મ્યો છે.

ગઇકાલે મોડી રાત્રીનાં જ ગોંડલના સુલતાનપુર વિસ્તારમાં આ સિંહણ અને બે બચ્ચા દેખાયાનાં અહેવાલો છે. રાજકોટ જિલ્લાનાં જેતપુર વિસ્તારમાં પણ સિંહએ ફરી એકવાર એન્ટ્રી કર્યાના અહેવાલો મળી રહ્યા છે. આ વખતે તો સિંહ છેક જેતપુર શહેરની અંદર આવી ગયા છે. આથી જેતપુરવાસીઓ ભયભીત બન્યા છે. આ અંગે રાજકોટ જિલ્લા વન વિભાગનાં સુત્રોમાંથી મળતી વિગતો મુજબ જેતપુર શહેરનાં છેવાડે મામાદેવ મંદિરની બાજુમાં આવેલ યોગીનગર સોસાયટીમાં એક સિંહણ ગત શનિવારની મોડી રાત્રીથી આવી ચડી છે. આ સિંહણે યોગીનગર વિસ્તારમાં બે રખડતા વાછરડાઓનો શિકાર કર્યો હતો. શનિવારે મોડી રાત્રે સિંહણે મારણ કર્યુ હતું.
આ ઉપરાંત ગઇકાલે રવિવારે પણ આ સિંહણ યોગીનગર આસપાસનાં વિસ્તારમાં દેખાઇ હતી આથી આ વિસ્તારનાં લોકોએ વન વિભાગને જાણ કરતા વન તંત્રની ટીમ યોગીનગરમાં દોડી ગઇ છે અને સિંહણને ટ્રેક કરવાનું શરૂ કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

