ગુજરાતમાં કોરોના તથા ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો હોવા છતાં સરકાર બેફિકર હોય તેમ વિવિધ ‘ઉત્સવો’ ની ઉજવણીમાં ગળાડૂબ છે. વાયબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શો, નદી ઉત્સવ બાદ હવે સરકાર દ્વારા ‘કાઇટ ફેસ્ટિવલ’ ઉજવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આગામી 9 થી 14 જાન્યુઆરી દરમિયાન કાઇટ ફેસ્ટિવલ યોજવાની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસનો નવો વેરિયેન્ટ ઓમિક્રોન વિદેશથી આવતા પ્રવાસીઓથી ફેલાય છે. આમ છતાં આ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે વિદેશના 400થી વધુ પતંગબાજોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, કોરોનાના વધતા કેસને પગલે વિદેશના પતંગબાજો જ આ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવાનું ટાળે તેની સંભાવના છે. આ ઉપરાંત દેશભરમાંથી 1200થી વધુ પતંગબાજો કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવાના છે.

નોંધનીય છે કે કોરોના અને ઓમિક્રોનના કેસોના વધારાની સાથે પતંગોત્સવની ઉજવણીને લઇને અનેક સવાલોએ જન્મ લીધો છે. ત્યારે કોરોનાને પગલે વિદેશી મહેમાનો ગુજરાતમાં આવે તેવી સંભાવનાઓ નહિવત દેખાઇ રહી છે. ત્યારે પતંગોત્સવની ઉજવણીનો ઉત્સાહ કેવો જળવાશે. અને, ઉત્સવ કેટલો સફળ રહે છે તેને લઇને પણ સવાલો ઉઠી રહ્યાં છે. તો ગત વરસે કોરોના મહામારીને પગલે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી ન હતી. ત્યારે આ વરસે કોરોનાના કેસોના વધારા વચ્ચે ફેસ્ટિવલની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

