અનંતનાગ, શુક્રવાર
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે સવારે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને કહ્યું છે કે આ અથડામણ અરવની વિસ્તારમાં થઈ હતી. માર્યા ગયેલા આતંકીની તાત્કાલિક ઓળખ થઈ નથી. પોલીસ અને સુરક્ષાદળો ઘટનાસ્થળે તહેનાત છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
પોલીસે અધિકારી પ્રમાણે, આતંકીની હાજરીના ઈનપુટ્સ મળ્યા બાદ સુરક્ષાદળોએ અરવની વિસ્તારના મુમનહાલ ગામમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.અધિકારીઓએ કહ્યુ કે આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળો પર ગોળીબાર કરાયો હતો.તેના પછી સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાય ગયું હતું.
ગત રવિવારે શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં લશ્કરે તૈયબાનો એક પાકિસ્તાની આતંકી ઠાર થયો હતો. તે તાજેતરમાં બાંદીપોરમાં માર્યા ગયેલા બે પોલીસકર્મીઓની હત્યા સહીત ઘણાં આતંકી ઘટનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસે કહ્યું હતું કે સુરક્ષાદળોએ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી બાબતે વિશેષ સૂચના મળ્યા બાદ હરવાન વિસ્તારમાં ઘેરાબંધી બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમણે કહ્યુ હતુ કે સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાય ગયું, જ્યારે આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યો.
ગત બુધવારે જ કાશ્મીર ખીણમાં કેટલીક મિનિટોના સમયગાળામાં બે અલગ-અલગ આતંકી ઘટનાઓમાં એક સિવિલિયન અને એક પોલીસકર્મીના જીવ ગયા હતા. શ્રીનગરના નવાકદલમાં આતંકીઓએ એક સિવિલિયનની ગોળી મારીને હત્યા કરી હતી. તો દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબહેરામાં એક એએસઆઈ પર હુમલો કરાયો હતો અને તેમણે હોસ્પિટલમાં દમ તોડયો હતો.

