સરકારી કૉલેજમાંથી રેગિંગનો મામલો સામે આવ્યો છે. જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 28 વિદ્યાર્થિનીઓ સાથે કૉલેજના સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યું હોવાની ફરિયાદ સામે આવી છે. જેના કારણે સમગ્ર જામનગરના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થિનીઓની ફરિયાદ બાદ કૉલેજ તંત્રએ મામલો એન્ટી રેગિંગ કમિટીને આપી દીધો હતો.
એન્ટીરેગિંગ કમિટીના સભ્યોએ વિદ્યાર્થિઓના નિવેદન લેવાની કામગીરી શરૂ કરી હતી. સંભવિત આવતીકાલ સુધીમાં કમિટી તેનો તપાસ રીપોર્ટ તૈયાર કરીને રજૂ કરે એવી પૂરી શક્યતાઓ છે. સરકારી ફિઝિયોથેરાપી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 28 જેટલા વિદ્યાર્થીઓએ સિનિયર્સ તરફથી ખોટી રીતે રેગિંગની ફરિયાદ કરી છે. કોલેજમાં અભ્યાસ કરતા ત્રીજા, ચોથા વર્ષના અને માસ્ટરના 15 જેટલા વિદ્યાર્થીઓ રાત્રીના સમયે આવતા અને ઈન્ટ્રો કરાવવાના મામલે રેગિંગ કરતા હતા એવું સામે આવ્યું છે. જે પછી વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી હતી. આ કેસ જ્યારે કોલેજ તંત્ર સુધી પહોંચ્યો ત્યારે યુદ્ધના ધોરણે સમગ્ર કેસની તપાસ એન્ટી રેગિંગ કમિટીને સોંપી દેવા માટે પગલાં લેવામાં આવ્યા હતા.

એન્ટી રેગિંગ કમિટીના સભ્યોએ આ કેસમાં તપાસ શરૂ કરી દીધી હોવાના વાવડ મળ્યા છે. સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે હાલ દિનેશ સોરાણી છે. આ કેસ સામે આવતા એમને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. તેમણે મીડિયાને કહ્યું કે, સોમવારે વિદ્યાર્થીઓ તરફથી રેગિંગ થયું હોવાની ફરિયાદ મળી છે. આ પછી અમે તાત્કાલિક એન્ટીરેગિંગ કમિટીની મિટીંગ બોલાવી હતી. આ મામલાની તપાસ માટે ટીમની રચના કરી છે. જેના થકી એક રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ કેસમાં અમારી વડી કચેરીને પણ જાણ કરી દેવામાં આવી છે. યુજીસના નિયમ પ્રમાણે કમિટીના રિપોર્ટ બાદ પગલાં લેવામા આવશે.
ડૉ. કરિશ્મા જગડ, ડૉ. જય સાતા અને પત્રકાર ગિરીશ કોટેચા હાલમાં આ કેસની તપાસ કરી રહ્યા છે. હાલમાં દરેક વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. એ પછી એક રીપોર્ટ તૈયાર કરીને પગલાં લેવામાં આવશે.
એન્ટીરેગિંગ કમિટીના સભ્યો
ડૉ. દિનેશ સોરાણી,
ડૉ. કરિશ્મા જગડ,
ડૉ જય સાતા,
ડૉ. નિધી કોટેચા,
ડૉ. હિરલ પંડ્યા,
પત્રકાર ગિરીશ ગણાત્રા,
ડેપ્યુટી કલેકટર અને ડીવાયએસપી

