ભાવનગર, ગુરૂવાર
વર્તમાન સમયમાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણી બર્થ ડે કેક કાપીને કરતા હોય છે ત્યારે અમેરિકાસ્થિત આકાશભાઈ તથા અપૂર્વીબેન શર્માએ તેમની પૂત્રી અનુષ્કાનો 13મો જન્મદિવસ સાવ અનોખી રીતે ઉજવીને સમાજને નવી દિશા ચીંધી હતી. અનુષ્કાના જન્મદિવસની ઉજવણી માટે કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ – ગુજરાત પરિવારના સભ્યોએ ભાવનગરમાં વિવિધ સેવાકાર્યોની સાથોસાથ ગૌહવન સહિતના કાર્યક્રમો કર્યા હતા.
અનુષ્કાના 13માં જન્મદિવસ નિમિત્તે સેવાના માધ્યમ થકી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાવનગરના સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે 108 દિવડાની ભવ્ય દિપમાળા આરતી કરીને પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો હાજર રહ્યા હતા. ત્યાર પછી તળાજા રોડ પર આવેલા શ્રીરામદૂત ગૌશાળામાં વહેલી સવારે 14 ગૌમાતાનું પૂજન-અર્ચન કરીને પંડિત ભદ્રેશભાઈ જોશીએ મંત્રોચ્ચાર દ્વારા ગૌહવન કરાયો હતો. ગૌમાતાનુ શા માટે પૂજન કરવું જોઈએ..? શા માટે તેની સેવા કરવી જોઈએ..? ગૌ સેવાનું મહત્વ વિગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેશ્વર ગૌધામ કોબડીના મહંત જયદેવશરણજી દ્વારા સવિસ્તાર જણાવવામાં આવ્યું હતું.
બુધવારે બપોરે 3.15 કલાકે ભાવનગરમાં બોર તળાવ રોડ પાસે આવેલા નંદકુવરબા બાલાશ્રમમાં ખાતે હાલ 7 અનાથ બાળકોને અલ્પાહાર તેમજ ફ્રુટ અર્પણ કરી તેમની સાથે એક વાલી તરીકેનો સંબંધ કેળવી બધા ભાવવિભોર થયા અને સંસ્થાને આર્થિક અનુદાન આપ્યું હતું. આવી રીતે દિવસ દરમિયાન આ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવનગર ખાતે કરવામાં આવી હતી. કૈલાશ પરિવારના રાજેન્દ્રસિંહ ગોહિલ તથા સુનિલભાઈ શ્રીવાસ્તવ, વંદનભાઈ વાઘેલા, બબનજી શ્રીવાસ્તવ, વિક્રમસિંહ ગોહિલ, સંજયભાઈ જાની, કરણભાઈ તેરૈયા સહિતના ઉપસ્થિત સૌ લોકોએ અનુષ્કાને આશિર્વાદ આપ્યા હતા.

