લખનૌ, ગુરુવાર
અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદથી રામમંદિર નિર્માણ તો શરૂ થઈ ગયું, પરંતુ તેની સાથે જોડાયેલા અન્ય પાસાઓ પર વિવાદ પણ સતત ચાલુ છે. તેવામાં એક વિવાદ જમીન ખરીદીને લઈને છે. અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામમંદિરની આસપાસ ઘણી જમીનોની ખરીદી કરવામાં આવી છે. આ જમીનો અધિકારીથી લઈને પોલીસ અધિકારી, નેતાથી લઈને તેમના પરિવારજનો સુધી ખરીદવામાં આવી છે. હવે આ મામલામાં યોગી સરકારે તપાસના આદેશ આપીને પાંચ દિવસની અંદર રિપોર્ટ તલબ કર્યો છે.
યોગી સરકારે આ સંવેદનશીલ મામલાની તપાસ વિશેષ સચિવ રાધેશ્યામ મિશ્રા દ્વારા કરાવવાનો નિર્ણયય કર્યો છે. તેમણે કહ્યુ છે કે પાંચ દિવસની અંદર વિગતવાર તપાસ કરવી છે અને રિપોર્ટની સોંપણી કરવાની છે. હવે ચૂંટણી ટાણે રાજ્ય સરકારની આ કાર્યવાહીને બેહદ મહત્વની માનવામાં આવે છે. વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યું છે કે રામમંદિરના નામ પર મોટા સ્તર પર ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. ઘણાં નિકટવર્તીઓને ફાયદો થઈ રહ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઘણાં અધિકારીઓએ સસ્તા ભાવે જમીન ખરીદી હતી. આ યાદીમાં અયોધ્યામાં કમિશનર રહેલા એમ. પી. અગ્રવાલ, મેયર ઋષિકેશ ઉપાધ્યાય, આઈપીએસ દીપકકુમાર, રિટાયર્ડ આઈએએસ ઉમા ધર દ્વિવેદી, પીપીએસ અરવિંદ ચૌરસિયા દ્વારા ખીદવામાં આવેલી જમીનો સામેલ છે.
ગોસાઈગંજના ધારાસભ્ય રહેલા ઈંદ્રપ્રતાપ તિવારી ઉર્ફે ખબ્બૂ તિવારીએ મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટ પાસેથી 30 લાખ રૂપિયામાં 2593 વર્ગ મીટર જમીન ખરીદી છે. ખબ્બૂ તિવારીના બનેવી રાજેશ મિશ્રાએ રાઘવાચાર્ય સાથે મળીને બરહેટા ગામમાં 6320 વર્ગ મીટર જમીન 47.40 લાખ રૂપિયામાં ખરીદી છે.
અયોધ્યાના અન્ય ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્તાએ ડિસેમ્બર-2020માં સરયૂ નદીની પાર ગોંડાના મહેશપુરમાં 4 કરોડમાં 14860 વર્ગ મીટર જમીન ખરીદી હતી. તો તેમના ભત્રીજા તરુણ મિત્તલે નવેમ્બર-2019માં બરહટા માઝામાં 5174 વર્ગ મીટર જમીન 1.15 કરોડ રૂપિયામાં ખરીદી. અન્ય પછાત વર્ગ પંચના સદસ્ય બલરામ મૌર્યાએ અયોધ્યા મંદિર નિર્માણ સ્થળથી 5 કિલોમીટર દૂર ગોંડાના મહેશપુર ગામમાં 50 લાખ રૂપિયામાં 9375 વર્ગ મીટર જમીનની ખરીદી કરી હતી.
અયોધ્યામાં કમિશનર રહેલા એમ. પી. અગ્રવાલના સસરા કે.પી. અગ્રવાલે ડિસેમ્બર-2020માં મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટ પાસેથી 31 લાખ રૂપિયામાં 2530 વર્ગ મીટર જમીન બરેટા માઝા ગામમાં ખરીદી હતી. તો અગ્રવાલના બનેલી આનંદવર્ધને મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટ પાસેથી જ 15.50 લાખ રૂપિયામાં 1260 વર્ગ મીટર જમીન લીધી. અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાયે તો ચુકાદાના 2 માસ પહેલા જ સપ્ટેમ્બર-2019માં 30 લાખ રૂપિયામાં 1480 વર્ગ મીટર જમીનની ખરીદી કરી હતી. તો જુલાઈ-2018માં ઋષિકેશ ઉપાધ્યાયે અયોધ્યાના કાજીપુર ચિતવનમાં દાન સ્વરૂપે 2530 વર્ગ મીટર જમીન લીધી અને તેની કિંમત એક કરોડથી વધુ હોવાનું જણાવાય રહ્યું છે.
અયોધ્યામાં તહેનાત રહેલા એડિશનલ એસપી અરવિંદ ચૌરસિયાના સસરા સંતોષ ચૌરસિયાએ જૂન-2021માં રામપુર હલવારા ગામમાં 4 લાખ રૂપિયામાં 126.48 વર્ગ મીટર જમીન ખરીદી હતી. ડીઆઈજી રહેલા દીપકકુમારના સાસરી પક્ષએ પણ 1020 વર્ગ મીટર જમીન મહર્ષિ રામાયણ ટ્રસ્ટ સહીત 19 લાખ 75 હજાર રૂપિયામાં લીધી છે. જો કે દીપક કુમાર જમીન સોદા વખતે અયોધ્યામાં તહેનાત ન હતા. આના સંદર્ભે ડીઆઈજી રેન્જ અલીગઢ દીપકકુમારનું કહેવું છે કે તેમની આ જમીનના ખરીદ-વેચાણ સાથે કોઈ લેવાદેવા નથી અને ન તો તે જાણકારીમાં છે તથા ન તો તેમની તહેનાતી સમયે આનો કોઈ સોદો થયો.
હવે આમાના કેટલાક લોકોએ તો જમીન ખરીદવાની વાતને સ્વીકારી છે, તો કેટલાકે આનો સ્પષ્ટ પણે ઈન્કાર કર્યો છે. તેવામાં હવે આ વિવાદને શાંત કરવા માટે અને વધુ સચ્ચાઈ બહાર લાવવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હવે તપાસના આદેશની વચ્ચે વિપક્ષે તેને ફરીથી મોટો મુદ્દો બનાવ્યો છે. કોંગ્રેસ તરફથી સીધું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સ્પષ્ટીકરણ માંગવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના મહાસચિવ રણદીપ સૂરજેવાલાએ કહ્યુ છે કે અંધેર નગરી-ચૌપટ રાજા… અયોધ્યાજીવીમાં લૂંટ પર પ્રધાનમંત્રી મોદીજી મૌન છે, આદરણીય મોદીજી, આ ખુલ્લી લૂંટ પર હવે તમે કંઈ બોલશો?રાહુલ ગાંધીએ પણ આ મુદ્દાને હિંદુ અને હિંદુત્વવાદીવાળી ચર્ચા સાથે સાંકળી દીધો છે. તેઓ કહે છે કે હિંદુ સત્યના માર્ગે ચાલે છે. હિંદુત્વવાદી ધર્મની આડમાં લૂંટે છે.

