પાટણ,શુક્રવાર
દેશમાં હવે દીકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની તૈયારીમાં મોદી સરકાર છે.સૂત્રો તેમજ મીડિયા રિપોર્ટ મુજબ આ પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આના માટે કેન્દ્ર સરકાર વર્તમાન કાયદામાં સુધારા કરશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020ના 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાની પ્રાચીરથી પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે દીકરીઓને કુપોષણથી બચાવા માટે જરુરી છે કે તેમના લગ્ન યોગ્ય ઉંમરે થાય.
આ બાબતને લઈને ગુજરાતના સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે.
તેમણે આ પત્રમાં જણાવ્યું છે કે, ભણેલા ગણેલા લોકો દીકરીઓના લગ્ન 21 વર્ષ પછી કરે છે, પણ જો આ નિયમ ગામડામાં અપનાવામાં આવે તો, યુવતીઓ પ્રત્યેની અઘટિત ઘટનાઓમાં વધારો થશે. તેમણે એમ પણ જણાવ્યું છે કે, આ નવો કાયદો શ્રમજીવી પરિવારો માટે ઘાતક સાબિત થશે. ગામડાઓમાં તો 15થી 18 વર્ષની દીકરીઓ ભાગવા લાગે છે, ત્યારે આ બાબતને લઈને કેટલાય સાંસ્કૃતિક પ્રશ્નો પણ ઊભા થાય છે. આ સાથે જ સામાજિક તાણાવાણા પણ તૂટવાનો ભય રહેલો છે.ભારતમાં 18 વર્ષે લગ્ન વૈજ્ઞાનિક અભિગમના આધારે નક્કી થયેલ છે તો બદલવા ન જોઈએ.
PM મોદી સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન જાહેરાતના એક વર્ષ બાદ કેન્દ્રીય મંત્રી મંડળે બુધવારે મહિલાઓ માટે લગ્ન કાયદાની ઉંમર 18થી 21 સુધી વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. લગ્ન માટે યુવતીઓની કાયદાકીય ઉંમર 18 થી વધારીને 21 કરવાનાં પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી.કેબિનેટની મંજૂરી બાદ સરકાર બાળ વિવાહ નિષેધ અધિનિયમ 2006માં એક સંશોધન રજૂ કરશે અને તેના પરિણામ સ્વરૂપ વિશેષ વિવાહ અધિનિયમ અને હિંદુ વિવાહ અધિનિયમ 1955 જેવા વ્યક્તિગત કાયદામાં સંશોધન લાવશે. બુધવારે આપવામાં આવેલી મંજૂરી ડિસેમ્બર 2020માં જયા જેટલીની અધ્યક્ષતા વાળી કેન્દ્રની ટાસ્ક ફોર્સ દ્વારા નીતિ આયોગને સોંપવામાં આવેલી ભલામણ પર આધારિત છે. આ ગઠન માતૃત્વની ઉંમરથી સંબંધિત મામલે માતૃ મૃત્યુ દરને ઓછી કરવાની જરુર છે પોષણમાં સુધાર સંબંધિત મામલાની તપાસ કરવામાં આવી હતી.

