પટના, ગુરુવાર
બિહારમાં દારૂબંધીને લઈને ઘણાં પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝીએ મોટી ટીપ્પણી કરી છે. માંઝીએ બિહારમાં સંપૂર્ણ દારૂબંધીના દાવાની પોલ ખોલતા કહ્યુ છે કે રાજ્યમાં ધનવાન અને રસૂખદાર લોકો જેવા-આઈએએસ, આઈપીએસ, ડોક્ટર, ઈજનેરો રાત્રે દારૂ પીવે છે.
મીડિયા સાથેની વાતચીતમાં જિતનરામ માંઝીએ કહ્યુ હતુ કે આ ઓપન સિક્રેટ છે. આ સત્ય છે કે મોટા લોકો છે, જે ઠેકેદાર છે, ધનવાન છે, એન્જિનિયર છે, ડોક્ટર છે, આઈએએસ છે, આઈપીએસ છે, આ બધાં રાત્રે 10 બાદ મર્યાદામાં દારૂ પીવે છે. પરંતુ દુનિયા જાણતી નથી કે તેઓ દારૂ પીવે છે. દારૂ પીવાને લઈને ગરીબોને સલાહ આફતા પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ કહ્યુ છે કે શા માટે પીને આમ-તેમ કરો છો,મર્યાદામાં પીવો જેવું મટા લોકો પીવે છે, પકડવાની વાત એટલા માટે આવે છે, કારણ કે તમે પીને ચોકમાં ફરવા લાગો છો, માટે મોટા લોકો પાસેથી શીખો, રાત્રે લેવાનું છે, તો લઈને સુઈ જવાનું અને સવારે ઉઠીને કામ કરો. બિહારમાં દારૂબંધી પર મોટી ચર્ચા ચાલી રહી છે. થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું ગહતું કે રાજ્ય સરકાર કોઈપણ સ્થિતિમાં દારૂબંધીનો કાયદો પાછો લેવાની નથી અને તેના માટે વધુ કઠોર પગલા ઉઠાવવાની પણ તેમણે વાત કરી હતી. નીતિશ કુમારના આ નિવેદન બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝીનું નિવેદન સામે આવ્યું છે. માંઝી જ નહીં, આંકડા પણ બિહારમા દારૂબંધીની હકીકતની પોલ ખોલી રહ્યા છે. નવેમ્બરમાં અત્યાર સુધી રાજ્યમાં 3,25,878 લિટર દારૂ જપ્ત થઈ ચુક્યો છે. જ્યારે 11 હજારથી વધારેની ધરપકડ થઈ ચુકી છે. તેવામાં સવાલ ઉઠે છે કે દારૂબંધી બાદ પણ આટલા પ્રમાણમાં દારૂ કેવી રીતે જપ્ત થઈ રહ્યો છે.

