નવી દિલ્હી,ગુરુવાર
કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઘણાં દેશોમાં પગ ફેલાવી રહ્યો છે. નવા વેરિએન્ટના ચેપના મામલા ઝડપથી સામે આવી રહ્યા છે. બ્રિટન અને અમેરિકામાં ઓમિક્રોને પોતાનું ડરમાણું રૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. ત્યારે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના મુખ્ય ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે ઓમિક્રોનને લઈને મોટી ચેતવણી આપી છે. ઈકોનોમિસ્ટ ગોપીનાથે કહ્યું છે કે આગામી એક માસમાં ઓમિક્રોન વધારે ખતરનાક થવાની શક્યતા છે. જો કે તેમણે એ પણ આશા વ્યક્ત કરી છે કે ઓમિક્રોન ડેલ્ટાની તુલનામાં ઓછો ગંભીર હશે.
ગીતા ગોપીનાથે એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે આગામી એક-બે મહિનામાં ઓમિક્રોન વધારે ચેપી બને તેવી શક્યતા છે. તેનાથી ચેપગ્રસ્તોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ શકે છે અને તેનાથી હોસ્પિટલો પણ પ્રભાવિત થઈ શકે છે. તેમણે કહ્યું છે કે જો ઓમિક્રોન પોતાની ઝડપ વધારે છે,તો પછી ફરી એકવાર પ્રવાસ પર પ્રતિબંધ લગાવાય તેવી શક્યતા છે. તેમણે કહ્યું છે કે હાલ સૌથી વધુ જરૂરી છે વેક્સિનેશનલ, કારણ કે આપણને હવે ભવિષ્યમાં કોવિડ-19ની નવી રસી મળતી રહશે.
આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટેનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે કે જ્યારે ઓમિક્રોન ઘણાં દેશોમાં ગંભીરપણે ફેલાય ચુક્યો છે. ભારતમાં પણ ઝડપથી તેના ચેપના કેસ સામે આવી રહ્યા છે. દેશમાં કુલ 11 રાજ્યોમાં ઓમિક્રોનના 77 કેસ સામે આવી ચુક્યા છે. ગુરુવારે રાજધાની નવી દિલ્હીમાં આના 4 નવા કેસ સામે આવ્યા બાદ દિલ્હીમાં ઓમિક્રોનના કુલ 10 કેસો થઈ ચુક્યા છે. ચેપગ્રસ્ત 10 દર્દીઓમાંથી એકને હોસ્પિટલમાંથી રજા મળી છે. જ્યારે બાકીના 9નો હજીપણ એલએનજેપી હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.
ડબ્લ્યૂએચઓ ચીફ ડૉ. ટેડ્રોસ એડનોમ ઘેબિયસે મંગળવારે જાણકારી આપી હતી કે અત્યાર સુધી કુલ 77 દેશમાં ઓમિક્રોનની ઝપેટમાં છે. ડબ્લ્યૂએચઓ પ્રમુખે કહ્યુ છે કે જો ઓમિક્રોન ઓછી ગંભીર બીમારીનું કારણ બને છે, તો આપણી આરોગ્ય પ્રણાલી ફરી એકવાર ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે કે જેવું ડેલ્ટા દરમિયાન થયું હતું. ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજીના નિદેશક ડૉ. અનુરાગ અગ્રવાલે કહ્યુ છે કે આપણે આશા કરવી જોઈએ કે દક્ષિણ આફ્રિકામાં આ ચેપ પછી જે થઈ રહ્યું છે, ભારતમાં પણ આવા પ્રકારનો પ્રભાવ વાયરસનો જોવા મળે. પરંતુ તેમણે એમ પણ ચેતવણી આપી છે કે એક હળવો વાયરસ પણ એક સ્વાસ્થ્ય પ્રણાલીને ઝુકાવવાની ક્ષમતા ધરાવે છે.

