ગીર/જૂનાગઢ, ગુરૂવાર
સૌરાષ્ટ્રના ગીર પંથકમાં પ્રખ્યાત કેસર કેરીનું ઉત્પાદન થાય છે અને અહીંયા હજારો હેકટર જમીનમાં આંબાના બગીચાઓ આવેલા છે. જો કે, આ કેસર કેરીના બગીચાઓને ચાલુ વર્ષે ઋતુનું ગ્રહણ લાગ્યું છે. સામાન્ય રીતે નવેમ્બર – ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાના ત્રણ તબક્કામાં આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ થવાની પ્રક્રિયા થતી હોય છે. મોટાભાગના બગીચાઓમાં તો દિવાળી બાદ ફલાવરિંગ થવા લાગે છે, પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બર માસ અડધો પસાર થવા આવ્યો હોવા છતાં હજુ પણ કેસર કેરીના બગીચાઓમાં મોર ફૂટ્યા નથી. આથી, ખેેડૂતો મુંઝવણમાં મુકાયા છે. ગીરમાં પંથકમાં મોર ફૂટવાની પ્રક્રિયા હજુ સુધી બંધ પડી હોવાથી ખેડૂતો આંબામાં દવાનો છંટકાવ કરી રહ્યા છે. જો કે, અમુક આંબાઓમાં જૂજ માત્રામાં મોર ફૂટવાની પ્રક્રિયા શરૂ થઈ છે, પણ મોટાભાગના આંબામાં હજુ આવી પ્રક્રિયા શરૂ થઈ નથી.
તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં આવેલા કેસર કેરીનાં બગીચાઓમાં નવેમ્બર માસમાં મોર ફૂટની પ્રક્રિયા પ્રથમ તબક્કા સમયે જ વાતાવરણ યોગ્ય ન રહેતા અને કમોસમી વરસાદ થતા આંબાવાડીઓમાં મોર ફૂટવાની પ્રક્રિયા અટકી પડી છે, આ સાથે જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતોએ દવા છંટકાવ શરૂ કર્યો છે. સામાન્ય રીતે ગીર પંથકમાં કારતક માસમાં ઠંડીનાં અભાવ વચ્ચે વાદળછાયા વાતાવરણથી અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો. જેથી આંબાવાડીઓમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. જ્યારે આ વર્ષે નવરાત્રિ સુધી વરસાદ પણ વરસ્યો હતો. કમોસમી વરસાદ અને માવઠાની અસરના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ રહેતા મોર ફૂટવાનું મોડું શરૂ થયું છે. જો સમયસર યોગ્ય મોર ન ફૂટે તો ઉત્પાદન પણ ઘટી શકે છે અને જો એવું થાય તો ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે તેમ હોવાના કારણે અત્યારથી જ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. (તસવીર પ્રતિકાત્મક છે)

