નવી દિલ્હી, ગુરુવાર
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે સેન્ટ્રલ યુનિવર્સિટીઝ, આઈઆઈટી અને આઈઆઈએમમાં શિક્ષકોના 10 હજારથી વધુ પદો ખાલી હોવા મામલે કેન્દ્ર સરકારને નિશાને લીધી છે. તેમણે આને મોદી સરકાર તરફથી વર્ષના આખરમાં વધુ એક ભેંટ ગણાવતા કટાક્ષ કર્યો છે.
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે રાજ્યસભામાં જણાવ્યુ હતુ કે સેન્ટ્રલ યુનિવર્સિટીઝ, આઈઆઈટી અને આઈઆઈએમમાં 10 હજારથી વધારે શિક્ષકોના પદો ખાલી છે. તેના પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે સોશયલ મીડિયા દ્વારા કેન્દ્ર સરકારને નિશાને લીધી છે.
ચિદમ્બરમે બે ટ્વિટ કર્યા છે. તેમણે પહેલા ટ્વિટમાં લખ્યુ છે કે મોદી સરકાર તરફથી વર્ષના આખરમાં વધુ એક ભેંટ, કેન્દ્રીય યુનિવર્સિટીઓ, આઈઆઈટી અને આઈઆઈએમમાં 10 હજારથી વધુ શૈક્ષણિક પદો ખાલી છે. તેમાથી 4126 એસસી, એસટી અને ઓબીસી માટે અનામત છે. બીજા ટ્વિટમાં ચિદમ્બરમે કહ્યુ છે કે અમે વિચાર્યું કે શિક્ષકો દ્વારા ભણાવવું તેમનો પ્રાથમિક ઉદેશ્ય છે. મને આશ્ચર્ય છે કે આ સંસ્થા પુરતા શિક્ષકો વગર શું કરે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે રાજ્યસભામાં જણાવ્યુ હતુ કે ઈગ્નૂ સહીત સેન્ટ્રલ યુનિવર્સિટીઝ, આઈઆઈટી અને આઈઆઈએણમાં શિક્ષકોના કુલ 10814 પદો ખાલી છે. તેમણે કહ્યુ હતુ કે સેન્ટ્રલ યુનિવર્સિટીઝમાં 6535, આઈઆઈટીમાં 3876 અને આઈઆઈએમમાં 403 શિક્ષકોના ફુલ ટાઈમ માટેના પદો ખાલી છે.

