અયોધ્યા, બુધવાર
અયોધ્યામાં પહેલીવાર ભાજપશાસિત 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ બુધવારે એકસાથે રામલલાના દર્શન કરવા માટે પહોંચ્યા છે. હાલ દેશના 11 રાજ્યોમાં ભાજપની સરકાર છે. આ રાજ્યોમાંથી કેટલાક રાજ્યોમાં ગઠબંધન સરકાર છે. તેથી ગઠબંધનના સરકારવાળા કેટલાક રાજ્યમાંથી નાયબ મુખ્યમંત્રીઓ અયોધ્યા ખાતે રામલલાના દરબારમાં માથું ટેકવવા માટે પહોંચ્યા છે. દેશના વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રીઓનું અયોધ્યામાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ રામનગરી ખાતે પહોંચ્યા છે.
ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા નાયબ મુખ્યમંત્રીઓએ સરયૂ ઘાટ પર પૂજાઅર્ચના કરી છે. નડ્ડાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ છે કે અહીં રામમંદિર બને તેવી હ્રદયપૂર્વકની ઈચ્છા છે. આ ઘણી જ ખુશીનો વિષય છે કે કરોડો ભારતીયોનું સપનું પુરું થઈ રહ્યું છે. કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણ થયા બાદ ત્યાં મુખ્યમંત્રીઓની એક બેઠક યોજાઈ હતી. અમે બધાં રામલલાના દર્શન કરવા માંગતા હતા. અમે બની રહેલા ભવ્ય રામમંદિરના નિર્માણકાર્યનું નિરીક્ષણ પણ કરવા માંગતા હતા. મુખ્યમંત્રી વખતોવખત મળતા રહે છે. તમામ કાશી આવ્યા હતા, તો તેઓ સાથે રામલલાના પણ દર્શન કરવા માંગતા હતા.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાન, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સર્મા, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સહીતના 9 રાજ્યોના મુખ્યમંત્રીઓ અયોધ્યા પહોંચ્યા છે. આ સિવાય અન્ય રાજ્યોના નાયબ મુખ્યમંત્રીઓ અહીં પહોંચ્યા છે. તેમની સાથે તેમના પરિવારજનો પણ છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેવ, બિહારના ડેપ્યુટી સીએમ રેણુ દેવી, અરુણાચલપ્રદેશના મુખ્યમંત્રી પ્રેમમા ખાંડુ અને મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહ પણ રામલલાના દર્શન માટે અધ્યા ખાતે પહોંચ્યા છે. આ તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ તથા તેમના પરિવારના સાથે રહેલા સદસ્યો સરયૂ ઘાટ, હનુમાનગઢી અને રામલલા વિરાજમાનના દર્શન કરશે. આ કાર્યક્રમમાં ક્યાંય પણ મીડિયા સાથે વાતચીત કે સંવાદ થવાનો નથી. અયોધ્યામાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની મુલાકાતને લઈને ચુસ્ત-દુરસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયા છે. આ કાર્યક્રમને લઈને કોવિડ-19ની ગાઈડલાઈનનું પણ પાલન કરાય રહ્યું છે.

