લખનૌ, બુધવાર
લખીમપુર હિંસા કાંડમાં પુત્ર આશિષ મિશ્રા મોનૂ પર હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ લાગ્યા બાદ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ પોતાનું સંતુલન ગુમાવ્યું છે. તિકુનિયા હિંસા મામલામાં પુત્ર આશિષ મિશ્રાને ફસાતો જોઈને પત્રકારોના સવાલ પર ગુસ્સે ભરાયેલા અજય મિશ્રા ટેનીએ મીડિયાકર્મીઓને ગાળો બોલી છે.
લખીમપુરના ઓયલમાં મધર ચાઈલ્ડ કેરના ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને જ્યારે તેમના પુત્ર આશિષ મિશ્રા પર સવાલ પુછવામાં આવ્યો, તો તેમણે ગાળો બોલતા કહ્યુ હતુ કે આ સા#& જે મીડિયાવાળા છે ને, એક નિર્દોષ વ્યક્તિને ફસાવ્યો છે. શરમ નથી આવતી, કેટલા ગંદા લોકો છે. હોસ્પિટલ છે. બધું છે. આ દેખાતું નથી.
બુધવારે જ્યારે પત્રકારોએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને એસઆઈટીના રિપોર્ટને લઈને સવાલ કર્યો, તો તેઓ ભડકયા હતા. તેમણે કહ્યુ હતુ કે જઈને એસઆઈટીને પુછો, આ તમારા જે મીડિયાવાળા છે ને, તેમણે સા#&એ એક નિર્દોષને ફસાવ્યો છે. શરમ નથી આવતી, કેટલા ગંદા લોકો છે. શું જાણવા માંગો છો. એસઆઈટીને પુછયું નથી.
જે વીડિયો સામે આવ્યો છે, તેમા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ પત્રકાર પર હાથ ઉપાડવાની પણ કોશિશ કરી હતી. પરંતુ સાથે ઉભેલા લોકોએ તેમને રોકી લીધા હતા. બાદમાં અજય મિશ્રા ટેનીએ પત્રકારોને ગાળ આપી હતી. મહત્વપૂર્ણ છે કે લખીમપુર કાંડના મુખ્ય આરોપી આશિષ મિશ્રા સહીત તમામ 13 આરોપીઓની મુશ્કેલી વધી છે. તપાસ અધિકારીની અરજી પર કોર્ટે મંગળવારે તમામ આરોપીઓ પર બિનઈરાદાપૂર્વકની હત્યા-તેની કોશિશ અને બેદરકારીથી ગાડી ચલાવવાની કલમોને હટાવીને એકમત થઈને હત્યાની કોશિશ અને પરવાનેદાર હથિયારના દુરુપયોગની કલમોને લાગુ કરવાની મંજૂરી આપી છે.

