શ્રીનગર, સોમવાર
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પોલીસ ફોર્સની બસ પર સોમવારે સાંજે આતંકી હુમલો થયો હતો. શ્રીનગરના જેવન વિસ્તારમાં ફાયરિંગના અવાજ સંભળાય છે. સૂત્રો મુજબ, આતંકવાદીઓએ પોલીસ બસ પર ગોળીઓ વરસાવી હતી. હુમલામાં 3 જવાનો શહીદ થવાના અહેવાલ છે. 11 જવાનો ઘાયલ છે.
એક અધિકારી પ્રમાણે, શ્રીનગરના જેવનમાં પંથા ચોક-ખોનમોહ રોડ પરથી ભારતીય રિઝર્વ પોલીસની 9મી બટાલિયનની બસ પસાર થઈ રહી હતી. આતંકવાદીઓએ તેના પર અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. પોલીસે હુમલા બાદ જેવનના પંથા ચોકના વિસ્તારની ઘેરાબંધી કરી છે. ઘાયલ પોલીસકર્મીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. હુમલાખોર આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે. આના પહેલા સવારે શ્રીનગરમાં રંગરેટ વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર થયા હતા.

