અમદાવાદ,રવિવાર
ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થયાં દુખદ સમાચાર સામે આવ્યા છે. તેઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ડેન્ગ્યુની બીમારી બાદ તેમની હાલત વધુ લથડી હતી. તેમજ મલ્ટી ઓર્ગન ડેમેજના કારણે આશા પટેલનું નિધન થયાની માહિતી સામે આવી છે. ગઇકાલથી તેમની તબિયત ખૂબ જ નાજુક હતી અને ભાજપનાં દિગ્ગજ નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ભાજપ કાર્યકરો તેમના સ્વાસ્થ્યને લઈને પ્રાર્થનાઓ કરી રહ્યા હતા ત્યારે રવિવારે દુખદ સમાચાર સામે આવ્યા છે. આજે સવારે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા.
2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બની ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂટણી લડીને જીતેલા આશા પટેલે કોંગ્રેસ છોડીને 2019માં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસમાં કહેવાતી અવગણનાથી તેઓ નારાજ હતા. કોંગ્રેસમાં આંતર વિગ્રહ,જૂથવાદથી કંટાળીને તેમણે કોંગ્રેસને અલવિદા કહ્યું હતું.સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેઓ સીધા જ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેઓ ધારાસભ્ય આશાબેન પટેલની ખબરઅંતર પૂછવા ગયા હતા. ત્યારે મંત્રી બ્રિજેશ મેરજા પણ ઊંઝાના ધારાસભ્યના હાલચાલ પૂછવા દોડી ગયા હતા.

