અમદાવાદ, રવિવાર
લોખંડ અને અન્ય ધાતુના ભંગારના ધંધામાં પૈસા રોકવાથી રોકાણ પર વાર્ષિક 12 ટકા વ્યાજ અને નફામાં 47.50 ટકાની લાલચ આપી વેપારી સાથે રૂ.2.50 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીએ અધિકારીઓ સાથે સારા સંબંધ હોવાનું કહી મોટા ટર્નઓવર કરીને વધારે નફાની લાલચ આપી હતી.હાલ તો આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સિંધુભવન રોડ પરના પર્પલ એવન્યુમાં રહેતા આનંદભાઈ નેતાનંદ ચૌધરી(43) પંચવટી પાસે એવીએન કોમોડિટીસ નામની ઓફિસ ધરાવે છે. 2012ના વર્ષમાં સાયન્સ સિટી રોડ પર એક કાર્યક્રમમાં આનંદભાઈની મુલાકાત રતનલાલ માણેકચંદ જૈન(ઓર્ચિડ ગ્રીન,ગિરધરનગર,શાહીબાગ) સાથે થઇ ત્યારે રતનલાલે આનંદભાઈને કહ્યું હતું કે તેઓ એક્સકલુઝિવ સ્ટીલ એન્ડ કાસ્ટિંગ નામની કંપની ધરાવીને લોખંડ અને બિનલોખંડની ધાતુના ભંગારનો ધંધો કરે છે.ત્યારબાદ રતનલાલ અને આનંદભાઈ અવારનવાર મળતા ત્યારે રતનલાલ તેમને કહેતા કે, તેમને ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન સરકારી અધિકારીઓ અને કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધ છે.
જેના કારણે તેમની કંપની પણ મોટું ટર્ન ઓવર કરી ખૂબજ મોટો નફો મેળવે છે. જેથી તેમની કંપનીમાં પૈસા રોકવાથી સારું વળતર મળશે તેવી વાત કરી રતનલાલે આનંદભાઈ પાસે રૂ.1.25 કરોડનું રોકાણ કરાવી તેની સામે વાર્ષિક 12 ટકા વ્યાજ અને નફામાં 47.50 ટકા આપવાની વાત કરી હતી. જેથી આનંદભાઈએ રતનલાલ જૈનને ટુકડે ટુકડે રૂ.2.25 કરોડ આપી રોકાણ કર્યું હતું.આટલુ રોકાણ કર્યા પછી મોટા નફાની આશાએ વળતરની માગણી કરી તો રતનલાલે આનંદભાઈને વ્યાજ કે નફો કંઈ પણ આવ્યું નહીં. તે ઉપરાંત તેમણે એવું કહ્યું કે હાલમાં ધંધામાં મંદી હોવાથી આર્થિક સ્થિતિ સારી નથી. રતનલાલે આનંદભાઈને કહ્યું કે, તમે મને કાચો માલ આપો તો પ્રોસેસ કરીને વેચીશ. તેમાં જે પૈસા મળશે તે હું તમને આપી દઈશ. તેમની વાતમાં આવીને આનંદભાઈ પાસે પૈસા ન હોવાતી સગાં સંબંધી અને મિત્રો પાસેથી ઉધાર લાવીને રૂ.25 લાખ રતનલાલને આપ્યા હતા. આમ આનંદભાઈએ રતનલાલ પાસેથી કુલ રૂ.2.50 કરોડ લઈ આજદિન સુધી પૈસા પાછા નહીં આપી છેતરપિંડી કરી હતી. (તસ્વીર પ્રતિકાત્મક છે)

