ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે 2013માં એક મહિલા દ્વારા દાખલ કરાયેલા દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ આસારામની જામીન અરજી ફગાવી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટે ગાંધીનગર સેશન્સ કોર્ટને આ કેસની ટ્રાયલ ચાર મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. આસારામની લગભગ 15 જામીન અરજીઓ નીચલા સ્તરથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ફગાવી દેવામાં આવી છે.
ન્યાયાધીશ એ.જે.દેસાઈએ પ્રોસિક્યુશન દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને પગલે જામીન અરજી ફગાવી દેતા ગાંધીનગર સેશન્સ કોર્ટને ચાર મહિનામાં કેસની ટ્રાયલ પૂર્ણ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. વાસ્તવમાં સુરતની એક મહિલાએ આસારામ સામે યૌન શોષણનો કેસ નોંધાવ્યો છે. મહિલાનો આરોપ છે કે 1997થી 2006 દરમિયાન મોટેરા આશ્રમમાં તેના રોકાણ દરમિયાન આસારામે તેનું યૌન શોષણ કર્યું હતું.
80 વર્ષથી વધુની ઉંમર અને તબિયત બગડતી હોવાનું જણાવ્યું હતું
એડવોકેટ દીપક પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી તેમની જામીન અરજીમાં આસારામે આ આધાર પર રાહતની માંગ કરી હતી કે તેઓ 80 વર્ષથી વધુ ઉંમરના છે અને તેમની તબિયત બગડી રહી છે. સીબીઆઈના વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે આસારામ લગભગ આઠ વર્ષથી જોધપુર જેલમાં બંધ છે. જ્યારે પણ તેમની તબિયત લથડતી અને સારવારની જરૂરિયાત ઉભી થાય છે, ત્યારે હંમેશા એમ્સ જોધપુરના ડોકટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવે છે.
AIIMS નો રિપોર્ટ કહે છે કે તબિયત સામાન્ય છે
AIIMSના મેડિકલ રિપોર્ટમાં તેમની તબિયત સામાન્ય જાહેર કરવામાં આવી છે. આસારામ વિરુદ્ધ જુબાની આપનાર સાત લોકો પર ભૂતકાળમાં હુમલા થયા છે. જેમાંથી બે લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં આસારામને જામીન ન આપવા જોઈએ. બંને પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે આસારામની જામીન અરજી ફગાવી દીધી હતી. આસારામ જોધપુર સેન્ટ્રલ જેલમાં દુષ્કર્મના બે કેસમાં આજીવન કેદ સહિત જુદી જુદી સજા કાપી રહ્યો છે. જેલમાં ગયા બાદથી આસારામની તબિયત ઘણી વખત બગડી છે. તબિયતને ટાંકીને તેણે અનેક વખત જામીન અરજી કરી છે. હાલમાં જ આસારામના અનુયાયીઓ દ્વારા કેટલાક પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મહંત નરેન્દ્ર ગીરીની જેમ ખતમ કરી દેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રયાગરાજના બાબાની તર્જ પર આસારામના નજીકના લોકો તેને ખતમ કરી શકે છે.

