અમદાવાદ,શનિવાર
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની દિલ્હી મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા કેસ પાછા ખેંચવા અંગેની પણ વિગતવાર ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ભાજપના દિલ્હી હાઇકમાન્ડની આગામી સૂચના બાદ પાટીદારો પરના કેસ પાછા ખેંચવામાં આવી શકે છે, એટલે કે પાટીદારોના કેસ પાછા ખેંચવા અંગે મોદી-શાહની સંમતિ મળ્યા બાદ જ ગુજરાત સરકાર આખરી નિર્ણય લઈ શકશે.
ગઈકાલે ભાજપના સાંસદોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઓચિંતી મુલાકાત કરતાં ગમે તે ઘડીએ પાટીદારો સામેના કેસ પાછા ખેંચાય એવી ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતની વર્તમાન કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સાથે ભૂtપેન્દ્ર પટેલ સરકારની કામગીરીની સમીક્ષા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીમાં વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી સમક્ષ કરી આવ્યા છે. એટલું જ નહીં, પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા અંગે પણ હાઇકમાન્ડ સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે, જેથી પાટીદારોના કેસો અંગે પણ આખરી નિર્ણય હાઇકમાન્ડ કરશે. આગામી વિધાનસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટીદાર અનામત આંદોલન મુદ્દે ભાજપના તમામ પાટીદાર સાંસદો રમેશ ધડુક, મોહન કુંડારિયા, શારદાબેન પટેલ, એચ.એસ. પટેલ, મિતેષ પટેલ, નારણ કાછડિયા ગઈકાલે CMને રજૂઆત કરવા પહોંચ્યાં હતાં. 4 દિવસ પહેલાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના દિનેશ બાંભણિયા સહિતના બિનરાજકીય લોકોએ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં લાંબા સમયથી બાકી રહી ગયેલા પાટીદાર આંદોલન સમયના કેસો પાછા ખેંચવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં લેઉઆ પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, કડવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ઉમિયા માતા સંસ્થાન, ઊંઝાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

