ગોધરા, શુક્રવાર
ડિસેમ્બર મહિનાના 4 દિવસ માટે યાત્રાધામ પાવાગઢ મંદિર દર્શન માટે બંધ રાખવામા આવ્યુ હોવાની ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરાઈ છે. આગામી 13 ડિસેમ્બરથી 17મી ડિસેમ્બર સુધી મંદિર ભક્તો માટે દર્શન બંધ રહેશે. મંદિરના નિર્માણ કાર્ય દરમિયાન મંદિરના મહત્વના ભાગનું કામ કરવાનું હોવાથી આ નિર્ણય લેવાયો છે. રાજ્યમાં પાવાગઢ મંદિર સહિત સંખ્યાબંધ યાત્રાધામો – તીર્થસ્થાનો કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા લાંબા સમય સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જતા સરકારની ગાઇડલાઇન મુજબ દર્શનાર્થીઓ માટે ફરીથી ખુલ્લા પણ મુકાયા હતા.પાવાગઢ મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખુલી ગયું હતુ.
જોકે, હાલ અહી રિનોવેશનની કામગીરી ચાલી રહી છે એટલે મંદિર ડિસેમ્બર મહિનામાં 13 થી 17 ડિસેમ્બર સુધી બંધ રહેશે. છેલ્લા ઘણા સમયથી પાવાગઢ મંદિરના રિનોવેશન અને ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે મહાકાળી માતાના મંદિર પરિસરનો એક ભાગ ઉતારવામાં આવી રહ્યો હતો, ત્યારે તે મશીનનો ઝર્ક લાગતા રસોડાનો ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ નુકસાન કે કોઇને ઇજા પહોંચી ન હતી. પરંતુ હવે ફરીથી ટ્રસ્ટ દ્વારા મંદિર રિનોવેશનની કામગીરી શરૂ કરાઈ છે.

