અમદાવાદ, શુક્રવાર
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને સરકા૨ી યુનિવર્સિટી અને કોલેજોની લાલિયાવાડી સામે લાલ આંખ કરીને ટકોર કરી છે અને પ્રોફેસર સહિતની ખાલી જગ્યાઓ તાકીદે ભરવા જણાવ્યું છે. આગામી 31મી ડિસેમ્બર સુધીમાં સ્ટેટ યુનિવર્સિટી અને કોલેજોમાં કેટલી જગ્યા ભરેલી છે અને કેટલી ખાલી પડેલી છે તેનો રિપોર્ટ સબમિટ કરવા પણ તાકીદ કરી છે.
યુજીસીએ તમામ સ્ટેટ સરકારી યુનિવર્સિટીઓ, ડિમ્ડ યુનિવર્સિટીઓ અને કોલેજોને પરિપત્ર કરીને જણાવ્યું છે કે, શૈક્ષણિક પ્રક્રિયાઓમાં અધ્યાપકો સ્તંભ સમાન છે અને પરીક્ષાથી માંડી પરિણામ અને ટીચિંગ – લર્નિંગ તેમજ મૂલ્યાંકનમાં અધ્યાપકોની મહત્ત્વની ભૂમિકા છે. અભ્યાસક્રમ તૈયાર કરવાથી માંડી વિદ્યાર્થીઓને સમાજના જવાબદાર નાગરિક બનાવવાની તેમજ વ્યવસાયિકો તૈયા કરવામાં અધ્યાપકોની નિર્ણાયક ભૂમિકા છે. ક્વોલિટી એજ્યુકેશન માટે પૂરતા પ્રમાણમાં ફેકલ્ટી જરૂરી છે. યુજીસી દ્વારા ભરતી પ્રક્રિયા માટે જે ગાઈડલાઈન અને ટાઈમ ફ્રેમ નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ જ પ્રક્રિયા કરવામાં આવે તેવું પણ આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

