વર્લ્ડ કપ T20 શરૂ થઈ ત્યારથી હાર્દિક પંડ્યા સતત ચર્ચામાં રહ્યો છે. બોલિંગ ન કરવાને કારણે એની એક યા બીજી રીતે વાતો થઈ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સે પણ એને પડતો મૂક્યો છે. જેને લઈને તેણે પણ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, મુંબઈ ઈન્ડિયન્સ સાથેની યાદો. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બુધવારથી શરૂ થનારી વિજય હજારે ટ્રોફી 2021/22માં ભાગ ન લેવાનો નિર્ણય કરી લીધો છે. કારણ કે તે બોલિંગ ફિટનેસમાં ફરી સક્રિય થવા તૈયારીઓ કરી રહ્યો છે.
BCAના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) એ હાર્દિકને વિજય હજારે ટ્રોફી માટે તેની હાજરી અંગે પ્રશ્ન કરતો એક મેઈલ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી હાર્દિક પંડ્યા બરોડાની ટીમમાંથી આ ટ્રોફી રમે છે. આ મેઈલના જવાબમાં તેણે એક જ લાઈનમાં જવાબ આપી દીધો છે. તેણે કહ્યું કે, તે હાલમાં મુંબઈમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. જ્યારે તેને ઈજા વિશે પૂછવામાં આવ્યું ત્યારે આ અધિકારીએ કહ્યું, “BCAને તેની ઈજા અંગે કોઈ અપડેટ નથી. એવું પણ માનવામાં આવે છે કે તે તેની બેક ટ્રિટમેન્ટ કરાવીને ફીટ થવા માટે પ્રયાસ કરી રહ્યોય છે. વર્ષ 2019માં સર્જરી બાદ તે સતત રમી શકે એવી કોઈ સ્થિતમાં નથી. હાર્દિકનો મોટો ભાઈ કૃણાલ એક અઠવાડિયા પહેલા કેમ્પમાં જોડાયો હતો. જે હવે આ સીઝનમાં પણ રમશે. જ્યારે રાજ્ય બોર્ડે તેને નિર્દેશ આપ્યો હતો કે, ટીમનો ભાગ બનવા માટે કેમ્પમાં હાજરી આપવી ફરજિયાત છે. BCAએ કૃણાલને કહ્યું કે તે માત્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમનો ભાગ ન બની શકે. આખા કેમ્પનો પણ ભાગ બનવું પડશે.

એ પછી તેણે એક અઠવાડિયા સુધી તાલીમ લીધી હતી. જો હાર્દિક પંડ્યા ડોમેસ્ટિક ક્રિકેટ નહીં રમે તો ભારતની મર્યાદિત ઓવર ફોર્મેટ ટીમમાં એના કમબેક પર વિચાર નહી કરવામાં આવે. ક્રિકેટ સાથે જોડાયેલા એક સુત્રએ ત્યાં સુધી કહ્યું કે, હાલમાં નેશનલ સિલેક્ટર્સ કમિટીએ એ તમામ ખેલાડીઓ જે ભારતીય ટીમના સભ્ય નથી એને કહ્યું છે કે, તેઓ હઝારે અને રણજી ટ્રોફીમાં રમે.
એવું પણ માનવામાં આવી રહ્યું છે કે લાંબા સમય સુધી પોતાનું ક્રિકેટ કેરિયર ચલાવવા માટે હાર્દિક હવે ટેસ્ટ ક્રિકેટ રમવા મટે આતુર છે. હવે તે T20 અને વન ડે ક્રિકેટ સીરિઝ પર ખાસ ધ્યાન આપશે. હાલમાં તેણે કેરિયરમાં ટકી રહેવા માટે બોલિંગ કરવાનું શરૂ કરી દીધું છે. બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. NCAમાં તેણે પોતાની ફીટનેસ પુરવાર કરવી પડશે. એ પછી નેશનલ ટીમમાં એની પસંદગી થશે. જોકે, હાલમાં સુત્રો કહે છે કે, એનું નામ વિચારણા હેઠળ છે. પહેલા એવું હતું કે,દરેક ખેલાડીએ ફીટનેસ સર્ટિફિકેટ લેવાનું રહેતું હતું. પણ કોચ પદે રાહુલ દ્રવિડ આવ્યા બાદ પ્રક્રિયા બદલી ગઈ છે. દરેક ખેલાડીઓ માટે ફિઝિકલ ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવી છે. ત્યાર બાદ જ મેચ સિલેક્શન માટે નામ આગળ વધશે.

