મથુરા, સોમવાર
મથુરામાં હાલ સ્થિતિ શાંતિપૂર્ણ છે. પરંતુ મથુરામાં સુરક્ષા વ્યવસ્થા પંખી પણ પાંખ મારી શકે નહીં તેટલી ચુસ્ત-દુરસ્ત કરવામાં આવી છે. મથુરામાં કલમ-144 લાગુ છે. શહેરના તમામ મુખ્ય દરવાજા, મુખ્ય સડકો પર પોલીસોની કુમકો તહેનાત છે. શહેરમાં અંદર પ્રવેશ કરનારા લોકોનું ચેકિંગ કરાય રહ્યું છે. શંકાસ્પદતોના ઓળખપત્રો પણ માંગવામાં આવી રહ્યા છે. મથુરામાં હજારોની સંખ્યામાં પોલીસ જવાનોની તહેનાતી કરવામાં આવી છે.
શાંત-શાંત રહેનારા મથુરામાં હાલ વિવાદ કેમ વકર્યો છે, તેનું પણ કારણ છે. ગત મહિને અખિલ ભારત હિંદુ મહાસભાના નેતા રાજશ્રી ચૌધરીએ કહ્યું ગહતું કે તેઓ 6 ડિસેમ્બરે શાહી મસ્જિદની અંદર ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરશે અને તેનો જળાભિષેક પણ કરશે. આ સંગઠનનો દાવો છે કે ભગવાન શ્રીકૃષ્ણની વાસ્તવિક જન્મભૂમિ મસ્જિદની અંદર છે. અખિલ ભારત હિંદુ મહસભાના આ એલાનને શ્રીકૃષ્ણ જન્મભૂમિ નિર્માણ ન્યાસ, નારાયણી સેના અને શ્રીકૃષ્ણ મુક્તિ દળે પણ ટેકો આપ્યો છે. આ સંગઠનોનું કહેવું છે કે તેઓ શાહી મસ્જિદની અંદર 6 ડિસેમ્બરે લડ્ડૂ ગોપાલ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરશે અને તેના પર જળાભિષેક કરશે.
હિંદુ સંગઠનોની ટીપ્પણીઓને કારણે વિધાનસભા ચૂંટણી તરફ આગળ વધી રહેલા ઉત્તરપ્રદેશનું રાજકીય તાપમાન વધી ગયું છે. મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો કે જ્યારે યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યે 1 ડિસેમ્બરે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે અયોધ્યા કાશી ભવ્ય મંદિર નિર્માણ ચાલુ છે. મથુરાની તૈયારી છે. તેમનું આ ટ્વિટ આજે પણ તેમની ટ્વિટર ટાઈમલાઈન પર જોઈ શકાય છે. કેશવ પ્રસાદ મૌર્યે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પણ સવાલ કર્યો હતો કે શું તેઓ મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર ચાહે છે અથવા નહીં ?
હિંદુ સંગઠનોનો દાવો છે કે મુઘલ શાસક ઔરંગઝેબે 1669માં શ્રીકૃષ્ણ મંદિર તોડાવ્યું હતું અને તેના એક હિસ્સામાં ઈદગાહનું નિર્માણ કરાવ્યું હતું. આ ઈદગાહને હટાવવા માટે કોર્ટમાં હિંદુ પક્ષ તરફથી કેસ દાખલ કરવામાં આવ્યો છે. હિંદુ પક્ષનો દાવો છે કે જ્યં રાજા કંસની જેલ હતી, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનોજેલમાં જન્મ થયો હતો. 1669માં મુઘલ શાસક ઔરંગઝેબહે આ જેલના ચબૂતરા પર શાહી ઈદગાહ બનાવડાવી હતી. હિંદુ મહાસભાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ દિનેશ કૌશિકે કહ્યુ છે કે શાહી ઈદગાહ તો અતિક્રમણ કરીને બનાવવામાં આવી છે, કારણ કે જ્યાં રાજા કંસની જેલ હતી, ત્યાં ભગવાન શ્રીકૃષ્ણએ જેલમાં જન્મ ધારણ કર્યો હતો.
હિંદુ મહાસભા આ સ્થાન પરથી ઈદગાહને હટાવવાની માગણી કરી રહી છે. હાલ આ મામલો મથુરા સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે. તેની આગામી સુનાવણી 15 ફેબ્રુઆરીએ છે. રિપોર્ટ પ્રમાણે, કૃષ્ણ જન્મભૂમિવાળી 13.33 એકર જમીન રાજા મલ પાસેથી અખિલ ભારતીય હિંદુ મહાસભાના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મદન મોહન માલવીયે ખરીદી હતી.
હિંદુ સંગઠને મથુરા કોર્ટમાં દાખલ કરેલી અરજીમાંકહ્યુ છે કે 2 ઓક્ટોબર, 1968ના રોજ શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન અને શાહી ઈદગાહ પ્રબંધ સમિતિ વચ્ચે થયેલી સમજૂતી ખોટી છે. આ સંગઠને કોર્ટ સમક્ષ માગણી કરી છે કે આ સમજૂતીને રદ્દ કરવામાં આવે અને મંદિર પરિસરમાં આવેલી ઈદગાહને હટાવીને તે જમીન હિંદુ પક્ષને સોંપવામાં આવે.
મહત્વપૂર્ણ છે કે 1968માં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ એટલે કે શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન અને શાહી મસ્જિદ પ્રબંધન કમિટી વચ્ચે જમીનને લઈને એક સમજૂતી થઈ હતી. તેમા નક્કી કરવામાં આવ્યું હતું કે મસ્જિદ જેટલી જમીન પર છે, તે તેવી રીતે યથાવત રહેશે.
હિંદુ પક્ષનો દાવો છે કે કૃષ્ણ જન્મસ્થાન તે છે કે જ્યાં પ્રાચીન કેશવરાય મંદિર હતું. તેમનો એવો પણ દાવો છે કે 1958માં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ નામની સંસ્થાની રચના થઈ, જેણે મુસ્લિમ પક્ષ સાથે ખોટી સમજૂતી કરી લીધી.

