ઓમિક્રોનના વેરિઅન્ટે દેશની રાજધાની દિલ્હીમાં પણ દસ્તક આપી છે. આફ્રિકન દેશ તાંઝાનિયાથી આવેલા વ્યક્તિની દિલ્હીની LNJP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં સેમ્પલ ટેસ્ટ દરમિયાન આ વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. એલએનજેપી હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર સુરેશ કુમારે જણાવ્યું કે જે વ્યક્તિને ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે તેને શરૂઆતમાં ગળામાં દુખાવો અને તાવ હતો. તેમણે કહ્યું કે આ વ્યક્તિની હાલત હવે સ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે.
દર્દીમાં લક્ષણો શું છે ?
LNJPના મેડિકલ ડિરેક્ટર ડૉ સુરેશ કુમારે જણાવ્યું કે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીએ કોરોના રસીના બંને ડોઝ લીધા હતા. આ વ્યક્તિને અગાઉ ગળામાં દુખાવો અને તાવ હતો. તેમજ દર્દીને શરીરમાં દુખાવો થાય છે, તેણે નબળાઈની ફરિયાદ પણ કરી છે, પરંતુ તેનું ઓક્સિજનનું સ્તર ઘટતું નથી અને તે સંતુલિત છે. ડૉ. સુરેશ કુમારે કહ્યું કે ડૉક્ટરોની ટીમ 24 કલાક દર્દી પર નજર રાખી રહી છે, ઑક્સિજન લેવલની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. આ માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે ડૉક્ટરો દર્દીના શરીરમાં થઈ રહેલા ફેરફારો પર નજર રાખી રહ્યા છે.

