અમદાવાદ, શુક્રવાર
અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનથી છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાંધીનગર, સુરત, રાજકોટ, અમદાવાદ, જામનગર, જૂનાગઢ સહિત ગુજરાતના સંખ્યાબંધ શહેરોમાં જાણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. ઠંડા પવન ફૂંકાતા અને સૂર્યદેવના દર્શન નહિ થતા આખો દિવસ ટાઢુબોળ રહ્યું હતું. ઠંડીથી બચવા માટે લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો. હવે, આજથી વાતાવરણમાં ધીમો પલટો આવવાનું શરૂ થયું છે અને હવામાન પૂન: પૂર્વવત સામાન્ય બની રહ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ, સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર આજથી પૂરી થઈ રહી છે. આથી, વાતાવરણ ચોખ્ખું થશે. બે દિવસ બાદ ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી ઘટવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. ગુરુવારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું અને પવનની ઝડપ પ્રતિ કલાક 15 કિલોમીટર રહી હતી . જોકે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહેતા ઠંડી વધુ અનુભવાઈ હતી. આખો દિવસ લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, હવે બે દિવસ સુધી તડકો જોવા મળશે અને ત્યારબાદ ઠંડીનો પારો ક્રમશ ઘટશે.

