નવી દિલ્હી, ગુરુવાર
દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીની અવરજવર ઉત્તર પ્રદેશમાં વધી ચૂકી છે અને તેમના તમામ ભાષણોમાં હિન્દુત્વની ઝલક જાેવા મળી રહી છે. વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ સોફ્ટ હિન્દુત્વ ઉપર પાછી આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતાઓના હિન્દુત્વ ઉપર જે રીતે નિવેદનો સામે આવી રહ્યા છે તે જાેતાં વિપક્ષ પણ આકરા પ્રહાર કરી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આવનારા દિવસોમાં મથુરા અને કાશીનો એજન્ડા સેટ કરવામાં આવી રહ્યો છે અને ભાજપના નેતાઓ હિન્દુત્વની ગૂગલી ફેંકી રહ્યા છે અને સામે કોંગ્રેસ અને સમાજવાદી તેમજ બહુજન પાર્ટી ક્લીન બોલ્ડ થઈ રહી છે.
ઉત્તર પ્રદેશમાં આવનારા 2022માં વિધાન સભાની ચૂંટણી યોજાનાર છે અને જેને લઈ ભાજપે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ખેડૂતોના કૃષિ વિરોધી ત્રણ બિલો રદ કરીને ભાજપે ખેડૂતોની નારાજગી દૂર કરી દીધી છે. પૂર્વાંચલ યુપીમાં ખેડૂત આંદોલનની મોટી અસર હતી અને ભાજપના ગુપ્ત સરવેમાં પણ મોટું નુકસાન જાેવા મળ્યું હતું અને યુદ્વના ધોરણે આ કાયદો રદ કરવાની ફરજ પડી હતી. ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી રાજનીતિ ગરમાઈ રહી છે. વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પણ અહીંયા અવરજવર વધી ચૂકી છે અને અમિત શાહ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે. રામમંદિરના નિર્માણમાં અખિલેશ યાદવે એક રૂપિયો ફાળો આપ્યો નથી તેવું નિવેદન આપ્યા બાદ તેમનો ટાર્ગેટ સોફ્ટ હિન્દુત્વ એજન્ડા હતો અને ઉત્તર પ્રદેશના ભાજપના નેતાઓ પણ હવે સોફ્ટ હિન્દુત્વ ઉપર આવી ચૂક્યા છે. હવે અયોધ્યા પછી મથુરા અને કાશીમાં પણ ભવ્ય મંદિર બનાવવાનો મુદ્દો ઉછળ્યો છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું હતું કે, અયોધ્યા અને કાશીમાં ભવ્ય મંદિર નિર્માણનું કામ ચાલુ છે અને મથુરાની તૈયારી છે. રાજ્યમંત્રી રઘુરાજ પ્રતાપસિંહે કહ્યું કે, અયોધ્યા, કાશી પછી મથુરા છે, તેમણે કહ્યું કે, મથુરા ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ છે અને તેણે ભાજપ ક્યારે છોડી શક્શે નહી. મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે, અયોધ્યા સૂર્યવંશીની રાજધાન છે. ભગવાન શ્રીરામ અને ધર્મ અલગ નથી પણ એક બીજાના પૂરક છે, અયોધ્યાએ 500વર્ષ સુધી લાંબો સંઘર્ષ જાેયો છે. ચૂંટણી પહેલાં ભાજપ તરફથી અબ્બાજાન અને જિન્નાનો મુદ્દો ઉછાળાયો છે અને ભાજપ સારી રીતે જાણે કે હિન્દુત્વ કાર્ડ ખોલ્યા વિના ચૂંટણી જીતી શકાય તેમ નથી. ભાજપના સોફ્ટ હિન્દુત્વ ઉપર વિપક્ષ પલટવાર કરી રહ્યો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી કહે છે કે, ભાજપ પાસે વિકાસનો કોઈ મુદ્દો રહ્યો નથી કેમ કે, વિકાસ કોઈ થયો નથી અને એટલે હવે હિન્દુત્વ કાર્ડ ખેલી રહ્યો છે. જાે કે, વિપક્ષને પણ ભાજપ હિન્દુત્વ કાર્ડની પીચ ઉપર ચૂંટણી લડવા મજબૂર કરી રહ્યો છે.

