મુંબઈ, સોમવાર
તેલુગુ ફિલ્મના કોરિયોગ્રાફર શિવ શંકરનું કોરોનાને કારણે અવસાન થયું છે. હૈદરાબાદની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. બોલિવૂડ એક્ટર સોનુ સૂદ મેડિકલ ખર્ચ ઉઠાવી રહ્યો હતો. 73 વર્ષીય શિવ શંકરના અવસાન બાદ અનેક સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો. શિવ શંકરનો મોટો દીકરો પણ કોરોના પોઝિટિવ છે અને તેની સારવાર ચાલી રહી છે.
કોરિયોગ્રાફર શિવ શંકર 20થી વધુ દિવસ હોસ્પિટલમાં એડમિટ હતા અને તેમની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી સોનુ સૂદ તથા સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી મદદ માટે આગળ આવ્યા હતા. 28 નવેમ્બરની રાત્રે શિવ શંકરનું અવસાન થયું હતું. સોનુ સૂદે કહ્યું હતું, ‘માસ્ટરજીના અવસાનના સમાચાર સાંભળીને ભાંગી ગયો. તેમને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું. હું હંમેશાં માસ્ટરજીને મિસ કરીશ. ભગવાન તેમના પરિવારને આ નુકસાન સહન કરવાની ક્ષમતા આપે. સિનેમા હંમેશાં તમને યાદ કરશે. રાજમૌલિએ કહ્યું હતું, ‘આ જાણીને દુઃખ થયું કે શિવ શંકર માસ્ટર ગુરુનું અવસાન થયું. તેમની સાથે ફિલ્મ ‘મગધીરા’માં કામ કરવાનો અનુભવ યાદગાર રહ્યો. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. પરિવાર પ્રત્યે સંવેદના.’

