અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં ફરી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે, કમોસમી માવઠાની આગાહીથી રાજ્યના ખેડૂતો ચિંતામાં પેઠા છે. 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપરાંત દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પણ પડી શકે છે.
અન્નદાતાના પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ફરી એકવાર સામે આવીને ઊભી છે. ભરશિયાળે જ્યારે રવીપાકની વાવણી પૂર્ણ થઇ છે, ત્યારે માવઠાની આગાહી કરવામાં આવી છે. 30 નવેમ્બર 2021થી ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ની પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં માવઠું પડી શકે છે. 30 નવેમ્બરથી 3 દિવસ સુધી એટલે કે 2 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદ ઉપરાંત રાજ્યમાં ઠંડીનો પારો પણ વધવાની આગાહી કરવામાં આવી છે. સૌથી વધુ કમોસમીની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ પણ 50 કિમિ પ્રતિ કલાકની રહી શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ 30 નવેમ્બર રાતથી 1 ડિસેમ્બરના રાત સુધીના 24 કલાકમાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી,. વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે, જ્યારે 1 ડિસેમ્બરના રાતથી 2 ડિસેમ્બરના રાત સુધી ચોવીસ કલાકમાં દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને દીવ તેમજ અમદાવાદ, આણંદ, ખેડા મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદ પડશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં છૂટા છવાયા માવઠાની શક્યતા નહિવત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગુજરાતના અનેક શહેરોમાં વહેલી સવારથી જ ધુમમ્સનું સામ્રાજ્ય છવાઈ જાય છે. વહેલી સવારથી ઝાકળનું સામ્રાજ્ય જોવા મળે છે. રસ્તા પર ધુમમ્સ છવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વિઝીબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને લાઈટો ચાલુ રાખવી ફરજીયાત બની ગયુ છે. તો સાથે જ વહેલી સવારથી ઠંડીનો શિતગાર અનુભવ થઈ રહ્યો છે.

