ધો.1થી 5ની શાળાઓ ઓફલાઈન શરૂ કરવા માટે શિક્ષણવિભાગ તરફથી લીલી ઝંડી આપી દેવામાં આવી છે. રાજ્યના દરેક જિલ્લાઓમાં શાળાઓ ધમધમવા લાગી છે. શાળાઓએ પણ વિદ્યાર્થીઓને આવકારવા માટેની તૈયારીઓ કરી હતી. પણ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાંથી માઠા વાવડ સામે આવ્યા છે. ડાંગના આહવા તાલુકાના સાપુતારાની તળેટી વિસ્તારમાં આવેલા સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે.

ધો.11ના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાયને જીવન ટૂંકાવ્યું હતું. આ સમગ્ર ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. સાપુતારા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ ચાલું કરી હતી. વિદ્યાર્થીએ ક્યા કારણોસર આ પગલું ભર્યું એ અંગે હજુ સુધી કોઈ ખુલાસો સામે આવ્યો નથી. વિદ્યાર્થીના પરિવારજન અને શાળા સંચાલકોને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી હતી. બીજી તરફ 16 વર્ષના વિદ્યાર્થીએ શાળાના પરિસરમાં આવું પગલું કેમ ભર્યું એ પ્રશ્ન પોલીસને પણ ખૂંચી રહ્યો છે. સાપુતારા પોલીસે આ કેસમાં શાળાના સંચાલકની પણ પૂછપરછ કરી છે. એના વાલીઓ તથા પરિવારજનોને પણ પ્રશ્નો કર્યા છે. તમામ સંબંધીત લોકોના નિવેદન લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટના વહેલી સવારે આઠ વાગ્યા આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત રાજ્યની સરકાર વિદ્યાર્થીઓ કોઈ કાળે આત્મહત્યા ન કરે એ માટે મોટિવેશનલ સેમિનાર કરીને મોટા કાર્યક્રમો કરે છે. જેમાં આવું ન કરવા માટે સમજાવવામાં આવે છે. તેમ છતાં સમયાંતરે વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનામાં બ્રેક લગાવી શકાઈ નથી.
જે તે શાળાઓ તથા કૉલેજમાં આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારનો પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હોય એવા ચિત્ર સામે આવી રહ્યા છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાનું પરિણામ હોય ત્યારે વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ વધે છે. જેના કારણે પોલીસ સુરક્ષા વધારે સઘન કરી દેવામાં આવે છે. ઓફલાઈન શાળાઓ શરૂ થતા વાલીઓને પણ એક તરફ હાશકારો થયો છે.