પ્રાકૃતિક ખેતીથી સૌરાષ્ટ્રના કૃષિ જગતની તાસીર બદલાઈ રહી છે. ખેડૂતોના અવનના પ્રયાસથી અને પ્રાકૃતિક ખેતીના પરિણામો નાના અને સીમાંત ખેડૂતો માટે ઉત્પાદન ખર્ચમાં મોટો ઘટાડો કરીને રોજગારીની નવી દિશા આપી રહ્યા છે. આ સાથે મબલખ ઉત્પાદન પણ આપી રહ્યાં છે. રાજકોટના પ્રગતિશીલ ખેડૂત કે જેઓ વ્યવસાયે ડોક્ટર છે પરંતુ પ્રાકૃતિક ખેતી કરવાના શોખથી પ્રેક્ટિસ મૂકીને તેઓએ રાજકોટ નજીક જશવંતપુર ગામે તેના 20 વીઘા ફાર્મમાં 12થી 15 ગીર ગાય વસાવી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી બીજા ખેડૂતોને પ્રેરણા મળે તેવા આવિષ્કારો કર્યા છે.
ડો.રમેશભાઈ પીપળીયાએ તેમની પ્રાકૃતિક ખેતી અંગે જણાવ્યું કે, સાત વર્ષ પહેલા જશવંતપુર ગામે 20 વિઘાની જમીનમાંથી 10 વીઘા જમીનમાં જમીનમાં ટિશ્યૂકલ્ચર પદ્ધતિથી ખારેકનું વાવેતર કર્યું હતું. છેલ્લા ચાર વર્ષથી ખારેકનું ઉત્પાદન મેળવે છે અને બીજાને પણ આપી રહ્યાં છે. ગાય આધારિત અને સંપૂર્ણ નેચરલ ખાતરનો ઉપયોગ કરવાથી બીજી કોઇ દવાનો ઉપયોગ કરવો પડતો નથી. એક એકર વીઘામાં ખારેકના 60 ઝાડ ઉભા છે. ઝાડ પર માર્ચ મહિનાથી ખારેક આવવાનું શરૂ થાય છે. જૂન-જુલાઈમાં ખારેક પાકી જતા તેનો ઉતારો લેવામાં આવે છે.
આ રીતે દસ વીઘા જમીનમાં કુલ 14 હજાર કિલો ખારેકના ઉત્પાદનનો અંદાજ છે. અન્ય પાકના પ્રમાણમાં તેઓને ખારેકમાં મબલખ ઉત્પાદન મળ્યું છે. એક ઝાડ દીઠ રૂ 5થી 7 સાત હજારની આવક થાય છે.
ખારેકની આવક યથાવત રહે છે. હવામાનની કોઈ ખાસ અસર થતી નથી તેમ જણાવતા રમેશભાઈ કહે છે કે, જો નાનો ખેડૂત તેની ટુંકી જમીનમાં ખારેક વાવે તો એક બે વીઘા જમીનમાં પણ દોઢ બે લાખનું ઉત્પાદન આરામથી મેળવી શકે છે. કારણ કે, પ્રાકૃતિક ખેતી અને સ્ટાન્ડર્ડ કંપનીના ટિશ્યૂકલ્ચર પાકથી બધી જ ખારેકમાં મીઠાશ જળવાઈ રહે છે. અને ખેડૂત પોતે મહેનત કરી રીટેલ વેચાણ કરે તો વધારે ફાયદો થાય છે. આ ઉપરાંત ખારેકના બે ઝાડ વચ્ચે વધારે અંતર રહેતું હોવાથી આંતર ખેતીથી પણ પૂરક આવક મેળવી શકાય છે.
ઇઝરાયેલી પદ્ધતિથી ખારેકના ઝાડ વચ્ચે હવે આંબાના વાવેતરના પ્રયોગો પણ સફળ થયા છે. સૌરાષ્ટ્રમાં હવે પાણી અને વીજળીનો વિસ્તાર વધ્યો છે એટલે બાગાયતી પ્રાકૃતિક ખેતી પણ ખેડૂતો માટે નિયમિત અને કાયમી રોજગારીનું માધ્યમ બની શકે છે. ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.