વિક્રમ સંવતનું વર્ષ આજે ભલે ડિજીટલ યુગમાં પ્રવેશ્યું હોય પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પ્રાચિન પરંપરાઓ જીવંત છે. આવી જ એક પ્રથા સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા વિસ્તારમાં આવેલા પાટડી અને ધામા ગામમાં બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની છે.
ઝાલાવાડ પથંકમાં 150 વર્ષથી એટલે કે રાજા રજવાડાના સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ નૂતન વર્ષની વહેલી સવારે જોવા મળી છે. ગામનાં ભાગોળે ગાયોની દોડ હરીફાઇ યોજાય છે બેસતા વર્ષે યોજાય છે. 300થી વધારે ગાયોના શીંગડાઓમાં ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે દોડાવવામાં આવે છે. આ અનોખી હરીફાઇમાં પ્રથમ આવનાર ગાયનાં ગોવાળનેં પાઘડી પહેરાવીનેં આગવી રીતે સન્માન કરવામાં આવે છે.
ઝાલાવાડ પથંકના રણકાંઠા ગણાતા પાટડી અને ધામા ગામમાં બેસતા વર્ષે ગાયો દોડાવવાની 150 વર્ષ જૂની પરંપરા છે. રાજા રજવાડાના પ્રાચિન સમયથી ચાલી આવતી આ અનોખી પરંપરા મુજબ ગામના ભાગોળે ગોવાળોનો સમૂહ પોતાના પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. ગોવાળો સાથે ગાયો દોડાવવી એ આ ગામના બેસતા વર્ષનું સૌથી મોટું આકર્ષણ છે. ગામની મહિલાઓ, પુરુષો અને બાળકો વહેલી સવારે જાગીને એક બીજાના ઘરે જઇને નવા વર્ષની શુભકામના પાઠવે છે.
આ પ્રથા પાટડી તાલુકાના વડગામ, આદરીયાણા જેવા ગામોમાં પણ જોવા મળે છે પરંતુ આ વિસ્તારમાં પાટડી અને ધામા ગામની પ્રથા સૌથી જૂની હોવાનું માનવામાં આવે છે.ગામના ચાર રસ્તા અને બજારમાં પણ એક બીજાને મળવાની પ્રથા છે જેને રામ રામ કર્યા એવું કહેવામાં આવે છે.