મોરબીના સોઓરડી વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર પોટરી તાલુકા શાળાથી પી.પી.ડબ્લ્યુ પોસ્ટ ઓફીસ સુધીમાં માર્ગ ઉપર ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ છે. તેથી રાત્રે અંધારપટ્ટ સર્જાઈ છે. આ રોડ ઉપર વાહનોની ભારે અવરજવર રહે છે. તેમજ સંખ્યાબંધ દુકાનો આવેલી છે.
લાઈટ બંધ હોવાને કારણે વાહન ચાલકો અને વેપારીઓને ભારે તકલીફ પડે છે. જો કે આ રોડ ઉપર જિલ્લા કલેક્ટર સહિત અનેક અધિકારીઓની કચેરીઓ આવેલી હોય આ રોડ પરની બંધ લાઈટો કેમ કોઈને દેખાતી નથી ? લાંબા સમયથી લાઈટો બંધ હોવા છતાં ચાલુ કરવાની કોઈ કાર્યવાહી કરાતી ન હોય લોકોની પરેશાની વધી રહી છે.તેથી વ્હેલાસર તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી અરજ છે.
મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી રસ્તા પરની સ્ટ્રીટ લાઈટ બંધ સ્થિતિમાં હોવાથી અનેક વિસ્તારમાં અંધારપટની સ્થિતિ છે.આ મામલે સામાજિક કાર્યકર્તાઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. જો પંદર દિવસમાં સ્ટ્રીટ લાઈટ ચાલું નહીં થાય તો પાલિકા કચેરીને તાળાબંધી કરી દેવાની મોટી ચિમકી ઉચ્ચારી છે. મોરબીના સામાજિક કાર્યકર્તા રાજુભાઈ દવે, જીગ્નેશ પંડ્યા, જગદીશ બાંભણિયા, અશોક, ખરચરિયાએ જિલ્લા કલેક્ટર, પાલિકા ચિફ ઓફિસર તથા પ્રમુખને આ મામલે ખાસ રજૂઆત કરી છે.
ખાસ કરીને મોરબીના સામાકાઠા વિસ્તારમાં નટરાજ ફાટકથી સ્મશાન રોડ પર છેલ્લા સાત મહિનાથી લાઈટ બંધ છે. PDW કચેરી તથા ત્રાજપર ચોકડીથી લખધીરસિંગ તાલુકા પોલીસ સ્ટેશન સુધીના વિસ્તારમાં કેટલીક લાઈટ પણ ચોરાઈ ગઈ છે. તો કેટલીક બંધ સ્થિતિમાં છે. ઉમા ટાઉનશીપથી ધરમપુર સુધીના રસ્તાઓ પર લાઈટ બંધ હોવા છતાં તંત્રએ કોઈ પગલાં લીધા નથી. અયોધ્યાપુરી મેઈન રોડ પર લાઈટ બંધ છે. કેમેરા હોવા છતાં લાઈટ કેમ બંધ છે એ અંગા પ્રશ્નો ચર્ચામાં છે. આ પહેલા પણ અનેક રજૂઆત કરી હોવા છતાં તંત્રએ કોઈ પ્રકારના પગલાં લીધા નથી. તહેવારની સીઝનમાં તાત્કાલિક ધોરણે બંધ લાઈટ ચાલું કરાવવા મુદ્દે સામાજિક કાર્યકર્તાઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. આ ઉપરાંત જ્યાં લાઈટ નથી ત્યાં લાઈટ લગાવવા માટે પણ માગ કરી છે. જો પંદર દિવસમાં લાઈટ ચાલું નહીં કરવામાં આવે તો પાલિકા કચેરીના તાળાબંધ બંધી કરી દેવાશે.