મહેસાણા,રવિવાર
ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થયા બાદ તેમના પાર્થિવ દેહને ઊંઝા લઈ જવાતા તેમના નિવાસસ્થાન પર લોકોની ભીડ ઉમટી પડી હતી. પુત્રીના નિધનના પગલે માતા આક્રંદ કરતા જોવા મળ્યા હતા. લોકો અંતિમ દર્શન કરી શકે તે માટે આશાબહેનના પાર્થિવ દેહને ઊંઝા APMCમાં રાખવામા આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઊંઝા પહોંચી આશાબેન પટેલના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ આશાબેન પટેલના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.
તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ઊંઝા APMC લઈ જવામા આવ્યો હતો. લોકો ઊંઝા APMCમાં પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકશે. રાત્રિ દરમિયાન પણ ઊંઝા માર્કેટીંગ યાર્ડમાં પાર્થિવ દેહ રાખવામા આવશે. ત્યારબાદ આવતીકાલે સવારે વતન વિશોળ ગામે લઈ જવાશે અને ત્યારબાદ સિદ્ધપુર મુક્તિધામમાં અંતિમવિધિ કરવામા આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમત્રી ઋષિકેશ પટેલ ઉપરાંત સોમાભાઈ પટેલ, નારણભાઈ પટેલ, રજની પટેલ, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ સહિતના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. શ્રદ્ધાંજલિ આપતી સમયે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલની આંખો ભરાઈ આવી હતી. ઊંઝાવાસીઓ તેમના નીડર ધારાસભ્યના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચતા નિવાસસ્થાન પર ભારે ભીડ જોવા મળી હતી.

