કચ્છ, શુક્રવાર
સમગ્ર દેશ સીડીએસ રાવત સહિત 13 ની હેલીકોપ્ટર દુર્ઘટનામાં મોતથી સ્તબ્ધ અને શોકમાં છે, ત્યારે આ સમગ્ર ઘટનામાં એકમાત્ર બચનાર અને હાલ સારવાર હેઠળ વરુણ સિંહએ પોતાના વિધાર્થી કાળમાં ગાંધીધામમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હોવાથી અહિ સ્થિત તેમના મિત્રોએ તેમના આરોગ્યમાં જલદી સુધારો આવે તેવી પ્રાર્થના સાથે બાળપણની સ્મૃતિઓ મમળાવી હતી. દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્નિ સહિત 13નું તમિલનાડુમાં હેલીકોપ્ટર ક્રેશથી મૃત્યુ થતા દેશભરમાં આઘાતની લાગણી છે.
ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનો ગાંધીધામ સાથે અનોખો નાતો છે. આજે પણ તેમની સ્કૂલની મેમરી તાજી છે. વરુણ સિંહના પિતા કેપી સિંહ 50 એલટી એર ડિફેન્સ યુનીટમાં કર્નલ હતા. તેમના પિતાનું ગાંધીધામમાં 1995 ના વર્ષમાં ટ્રાન્સફર થયુ હતું. ત્યારે તેમનો પરિવાર થોડા સમય માટે ગાંધીધામમાં રહ્યો હતો. તેમનો પરિવાર મીઠીરોહર વિસ્તારમાં રહેલા બીએસએફ કેમ્પના ક્વાટરમાં રહેતો હતો. એરક્રેશમા ઈજાગ્રસ્ત કેપ્ટન વરૂણસિંહ ગાંધીધામની કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થી હતા. તેમણે 1996થી 1998 બે વર્ષ ગાંધીધામની કેન્દ્રીય વિદ્યાલયમા અભ્યાસ કર્યો હતો. વરુણ તેમના વિધાર્થીકાળથીજ હોશિયાર અને બુદ્ધિશાળી હતો, આગળ જતા પિતાના નકશે કદમમા ચાલીને એરફોર્સમાં જોડાઈ ગૃપ કેપ્ટન બન્યા. વરુણ સિંહે પોતાના વિધાર્થી કાળમાં ધો. 7,8,9ની શિક્ષા ઈફ્કો કોલોનીમાં સ્થિત કેન્દ્રીય વિધાલયમાં મેળવી હતી. તે સમયે તેમના સહપાઠી રહેનાર અભિષેક વ્યાસે જણાવ્યું કે તે છાત્રકાળમાં તેજસ્વી હતા, ત્યારબાદ સોશ્યલ મિડીયાના માધ્યમથી જોડાયેલા હતા.સ્કૂલના આચાર્ય શ્રીફૂલૂ મીનાએ જણાવ્યું કે, તેઓ ગાંધીધામની કેન્દ્રીય વિદ્યાલયનુ ગૌરવ છે. તેઓ ઝડપથી સ્વસ્થ બને તેવી અમારી પ્રાર્થના છે.
ગાંધીધામમાં ઉ. ક્ષત્રિય સમાજના અગ્રણી સંતોષપાલ સિંહ અને કેપી સિંહ સારા મિત્ર છે, તેમણે સાથે વિતાવેલી બડા ખાના સહિતની સ્મૃતિઓ મમળાવતા સિંહ પરિવારને જિંદાદિલ અને રાષ્ટ્ર સેવાને સમર્પિત હોવાનું જણાવ્યું હતું. મેડિકલ બુલેટીન્સ આગામી કેટલાક કલાકો વરુણ સિંહના સ્વાસ્થ્ય માટે ગંભીર હોવાનું કહી રહી છે ત્યારે દેશભર સાથે ગાંધીધામથી પણ તેમના સ્વાસ્થ્યમાં જલદી સુધારા માટે પ્રાર્થના થઈ રહી છે.

