અમદાવાદ, મંગળવાર
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો હતો જેમાં ફાયરિંગની એક ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે.ઉલ્લેખનીય છે બે દિવસ પહેલા પણ પૂર્વ વિસ્તારમાં બે ગેંગો વચ્ચે મારમારીની ઘટના બની હતી. આજે ફરીથી પૂર્વ વિસ્તારમાં એક વ્યક્તિ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિની હાલત નાજુક જાણવા મળી રહી છે. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વસ્ત્રાલના સ્કાય લાઈન પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે આજે અચાનક એક વ્યક્તિ પર અજાણ્યા શખસે ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઈ હતી. ફાયરિંગની આ ઘટનામાં ઈશ્વરભાઈ નામની વ્યક્તિને ગોળી વાગતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ફાયરિંગ પ્રદીપ રાજપુત નામની વ્યક્તિએ કર્યું હોવાનું જાણવા મળે છે.ઈશ્વરભાઈ પર સોસાયટીના મેન્ટનાન્સ નાં ઝગડા માં ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. પરંતુ ફાયરીગની ઘટના બનતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરિંગ કરી શખ્સ ફરાર થઈ ગયો છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસે હાલ ઘટના સ્થળ પરના સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

