ગાંધીનગર,સોમવાર
ગુજરાતમાં નવી સરકારની ગાડી પાટે ચડી ચૂકી છે અને ભાજપના સિનિયર નેતાઓ કે જેમણે રાતોરાત હટાવી દેવામાં આવ્યા બાદ ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી પાટીદાર સમાજના કાર્યક્રમમાં હતા અને દિલ્હી આલા કમાનાના આદેશ બાદ મિચ્છામી દુક્કડમ કહીને ગાંધીનગર રવાના થઈ ગયા હતા અને રાજીનામું આપી દીધું હતું. દિલ્હીથી લખાયેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આખે આખું મંત્રીમંડળ ઘેરભેગું કરી દેવામાં આવ્યું હતું. રાજ્યમાં તત્કાલિન રૂપાણી સરકાર સામે ભયંકર લોકો વિરોધ હતો અને દિલ્હી આલા કમાનને તેનો અંદેશો આવી ચૂક્યો હતો. ખાસ કરીને કોરોનાકાળમાં રૂપાણી સરકારે જે મિસ મેનેજમેન્ટ કર્યું હતું તેણે લઈ દિલ્હી આલા કમાન પણ સખ્ત નારાજ હતું અને એ નારાજગી દૂર કરવા માટે રાતોરાત આખે આખી સરકાર બદલવી પડી હતી. વિજય રૂપાણીથી લઈ નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જેવા સિનિયર નેતાઓ એક ઝાટકે નવરાધૂપ થઈ ગયા હતા. રૂપાણી, નીતિન પટેલને પાર્ટી કોઈ મહત્વની જવાબદારી સોંપશે તેવી અટકળો તેજ બની હતી પણ ત્રણ મહિના પછી પણ કોઈ જવાબદારી સોંપાઈ નથી. અગાઉ નીતિન પટેલ વડા પ્રધાનની શુભેચ્છા મુલાકાત લઈ આવ્યા હતા પણ વિજય રૂપાણીને રાજીનામું આપ્યાના ૮૪ દિવસ પછી વડા પ્રધાને સમય આપ્યો હતો. આ મુલાકાત ગણતરીની મીનિટોમાં પૂરી થઈ ગઈ હતી અને રૂપાણી સમર્થકો એવી આશા રાખીને બેઠા હતા કે, કોઈ મહત્વની જવાબદારી મળશે તે વાત ઉપર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. રાજકોટ ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી જે રીતે આંતરકલેહ ચરમસીમાએ પહોંચ્યો છે તેણે લઈ મોદી પણ નારાજ છે.
પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી છેલ્લા કેટલાય સમયથી વડા પ્રધાનને મળવા માટેનો સમય માગતા હતા પણ સમય મળતો નહોતો. રાજીનામું આપ્યાના ૮૪ દિવસ પછી મોદીએ સમય તો આપ્યો હતો પણ ગણતરીની મીનિટોમાં જ બેઠક પૂરી થઈ ગઈ હતી. અગાઉ એવી આશા રાખવામાં આવતી હતી કે રૂપાણીને આગામી જાન્યુઆરીમાં જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેમાંથી કોઈ એક રાજ્યના પ્રભારી બનાવાઈ શકે છે. જાે કે, મોદી સાથે રૂપાણીની મુલાકાત થઈ તેમાં કોઈ આવી ચર્ચા કરવામાં ન આવી હોવાનું રૂપાણીની બોડી લેન્ગવેજ પરથી જણાતું હતું. વડા પ્રધાન મોદીને મળવા માટે રૂપાણી છેલ્લા કેટલાય સમયથી પ્રયત્નો કરતા હતા પણ કોઈક કારણસર વડા પ્રધાન સમય આપતા નહોતા. જેની પાછળની નારાજગીનું કારણ એવું છતું થાય છે કે, વડા પ્રધાન રૂપાણીથી સખ્ત નારાજ હતા અને કોરોનાકાળમાં જે રીતે લોકોએ યાતનાઓ વેઠી તેના કારણે પણ ખફા હતા. જેના કારણે રૂપાણી જ્યારે મુખ્યમંત્રી પદ ઉપર હતા ત્યારે પણ વડા પ્રધાન વાત સુદ્વા પણ કરતા નહોતા. રૂપાણી પણ મોદીની નારાજગીને પારખી ગયા હતા અને ગમે ત્યારે દિલ્હી આલા કમાન રાજીનામું આપવાનું કહેશે તેવો અણસાર આવી ચૂક્યો હતો અને આખરે પાટીદાર સમાજના કાર્યક્રમ પહેલાં જ રૂપાણીને સૂચના આપી દેવામાં આવી હતી કે, કાર્યક્રમ પૂરો થાય એ પહેલાં ગાંધીનગર જઈને રાજીનામું આપી દેવું. આ આખી સ્ટોરી રાતોરાત લખાઈ નહોતી પણ છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી દિલ્હી આલા કમાને ગુજરાત ઉપર ફોક્સ કર્યું હતું અને કેન્દ્રીય મંત્રીઓની જન આશીર્વાદ યાત્રામાં રૂપાણી સરકાર સામે લોકોમાં કેટલો રોષ છે તે બહાર આવ્યો હતો. ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપ પોતાના ગઢમાં જ હારે તે દિલ્હી આલા કમાન ક્યારેય ઈચ્છતો નહોતો અને આખરે રૂપાણી સરકારને ઘેરભેગી કરી દેવામાં આવી હતી. જાે કે, એ પછી રૂપાણી અને નીતિન પટેલને પાર્ટી મહત્વની જવાબદારી સોંપશે તેવી અટકળો ચાલી હતી પણ હજુ કોઈ જવાબદારી સોંપી નથી. નીતિન પટેલને કોઈ રાજ્યમાં રાજ્યપાલ તરીકે મોકલાય તેવી પણ વાતો વહેતી થઈ હતી પણ નીતિન પટેલે આ વાતનં ખંડન કરતાં કહ્યું હતું કે, હું ગુજરાતમાં રહેવા માગું છું. રૂપાણીના હોમટાઉનમાં ભાજપમાં જે રીતે આંતરીક જૂથબંધી વકરી છે તેના પડઘા પણ દિલ્હીમાં પડ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

