અમદાવાદ, શુક્રવાર
નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા અલ્પેશ શાહ જન્મથી જ દિવ્યાંગ છે. બાળપણમાં જન્મની સાથે જ સાથળનો ભાગ પગ સાથે જોડાયેલ હતો. જન્મ બાદ પરિવારજનોએ કેટલાય ડૉક્ટરો પાસે તેનો ઈલાજ કરાવવા માટે ફર્યા પરંતુ કોઈ ઈલાજ ન થયો. અંતે તેમના પરિવારે એ જ પરિસ્થિતિમાં તેમનો ઉછેર કર્યો.
કોલેજકાળથી જ વિદ્યાર્થી નેતા તરીકે પોતાની ઓળખ ઊભી કરી હતી. M.Com અને LLBનો અભ્યાસ કરી વર્ષ 1994માં પોસ્ટ વિભાગમાં નોકરીએ લાગ્યા. વર્ષ 2011માં ખાતાકીય પરીક્ષા પાસ કર્યા બાદ પ્રમોશન મેળવી અમદાવાદની પોસ્ટ વિભાગની મુખ્ય ઓફિસમાં કામ કર્યું. જે બાદ વર્ષ 2019થી તેઓ નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે.અલ્પેશભાઈને પોસ્ટ ઓફિસમાં કામ કરતાં જોઈ અન્ય કર્મચારી કે અધિકારીની રિતને ઝાખી પાડી દે છે. શરૂઆતમાં તેઓ બે ઘોડીના સહારે ચાલતા. પરંતુ સમય જતાં તેમને એક જ ઘોડીના આધારે ચાલવાનું શરૂ કર્યું અને આજે તેઓ એક જ ઘોડીના સહારે ચાલી રહ્યા છે.સૌથી મોટી વાત તો એ છે કે, એક તરફ જ્યાં કોરોનાના સમયમાં લોકો પોતાના ઘરમાં હતા. ત્યારે તેઓ પોસ્ટ ઓફિસમાં સવારથી લઇને સાંજ સુધી દવા તથા મહત્વના પાર્સલ ડિસ્પેચ થાય તે માટે કામમાં લાગેલા હતા, કારણ કે કોરોના અને લોકડાઉન દરમિયાન બધું બંધ હતું. માત્ર એટલું જ નહીં પરંતુ પોતાની ફરજની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવતા તમને અલગ-અલગ વિસ્તારમાં સેવાકીય પ્રવૃતિઓ પણ ચાલુ રાખી હતી. જે માટે તેમને વિવિધ સંસ્થાઓ મારફતે 40 જેટલા સર્ટિફિકેટ અને એવોર્ડ આપવામાં આવ્યા હતા.

