દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. દેશના પ્રથમ બે કેસો કર્ણાટકમાંથી મળી આવ્યાં છે. તો બીજી તરફ જામનગરમાં આફ્રિકાથી આવેલા નાગરિકમાં શંકાસ્પદ ઓમિક્રોન વાયરસના લક્ષણો દેખાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. ત્યારે સંઘપ્રદેશોમાં તા. 31 ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુની અમલવારી કરવામાં આવશે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
કર્ણાટકમાં ઓમિક્રોન વાયરસના બે કેસો નોંધાતા કેન્દ્ર સરકાર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. વિદેશથી આવી રહેલા પ્રવાસીઓ અને નાગરિકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાવીને તેમને 7 દિવસ માટે હોમઆઈસોલેટ કરવાની સૂચના તમામ રાજ્યોના આરોગ્ય વિભાગને કરી દેવામાં આવી છે. તેમજ જો આવા કોઈ યાત્રિકો કે નાગરિકોમાં લક્ષણો દેખાય તો તેમને હોસ્પિટલમાં ખસેડીને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનું ટ્રેસિંગ કરીને તેમના સેમ્પલ લેવાની કામગીરી કરવા માટે સુચના આપી દેવામાં આવી છે.

ત્યારે હવે આગામી 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે દીવ, દમણ, દાદરાનગર હવેલી તેમજ અન્ય સંઘપ્રદેશોમાં જઈ રહેલા નાગરિકો માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ સંઘપ્રદેશોમાં તા. 31 ડિસેમ્બર સુધી રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે સંઘપ્રદેશોમાં યોજાતી 31 ડિસેમ્બરની પાર્ટી થશે કે કેમ તે સહિતના મુદ્દાઓ ઉપર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.

