વાંકાનેર શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી ખુશાલ જ્વેલર્સ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાનમાં બે મહિલાઓએ નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના સરોડી ગામે રહેતા અને ખુશાલ જ્વેલર્સમાં નોકરી કરતા અરવિંદભાઈ જીવણભાઈ કુમખાણીયા (ઉંમર 22)એ બે અજાણી મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, બંને મહિલાઓ દાગીના ખરીદવાના બહાને દુકાનમાં આવી હતી. તકનો લાભ લઈ મહિલાઓએ કર્મચારીની નજર ચૂકવી આશરે 65 નંગ સોનાની બાલી (નથડી) ચોરી કરી લીધી હતી. ચોરાયેલા દાગીનાનું વજન આશરે 14 ગ્રામ અને કિંમત અંદાજે રૂ.1,85,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઘટના બાદ બંને મહિલાઓ દાગીના લઈને દુકાનમાંથી નીકળી ફરાર થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં દુકાન સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
વાંકાનેર સિટી પોલીસે ફરિયાદના આધારે બંને અજાણી મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા દુકાન તથા આસપાસના CCTV ફૂટેજના આધારે મહિલાઓની ઓળખ અને ધરપકડ માટે તપાસ કરવામાં આવી રહી છે.

