આજના વૈશ્વિક સ્પર્ધાના યુગમાં આર્થિક સંકડામણ તેજસ્વી વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ મેળવવાના સપના આડે દીવાલ ન બનવા દેવા ગુજરાત સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ (અનુસૂચિત જાતિ કલ્યાણ) સતત કટિબદ્ધ છે. જે અન્વયે સરકારની ફ્રી શિપ કાર્ડ જેવી લોકાભિમુખ યોજના મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વિરપર ગામના એક સામાન્ય પરિવારના પુત્રી ચાવડા ઉર્વશીબેન દિનેશભાઈના કારકિર્દી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
નાનપણથી જ વિજ્ઞાન પ્રવાહમાં રૂચિ ધરાવતા ઉર્વશીબેન ધોરણ-12 સાયન્સમાં 88.00% ગુણ મેળવ્યા બાદ બી.એ.એમ.એસ. કોર્ષ કરવાનું સપનું હતું. જેની તપાસ કરતાં રૂ.06 લાખ કોર્ષની ફી હતી, પરંતુ પરિવારની મર્યાદિત આવકને કારણે ભારેખમ ફી ચૂકવવી અશક્ય હતી. આ સમયે મોરબી સ્થિત ‘જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (અનુસૂચિત જાતિ)ની કચેરી’ ના હકારાત્મક માર્ગદર્શન હેઠળ તેમણે ‘ડિજિટલ ગુજરાત પોર્ટલ’ પર ઓનલાઈન અરજી કરી હતી. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ વિભાગ દ્વારા ઉર્વશીબેનને ફ્રી શિપ કાર્ડ કાઢી આપવામાં આવ્યું. નોબલ આયુર્વેદ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જુનાગઢ ખાતે અભ્યાસ માટે ફ્રી શિપ કાર્ડ રજુ કરી કોઈ પણ ફી ભર્યા વિના સરળતાથી તેમણે પ્રવેશ મેળવ્યો.
યોજનાની મુખ્ય પાત્રતા અને માપદંડ અંગે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.) એ.એમ. છાશિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના ‘ડિજિટલ ગુજરાત પોર્ટલ’ દ્વારા ST/SC ના વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક, ટેકનિકલ કોર્સ માટે ફ્રી શિપ કાર્ડના ઉપયોગથી અભ્યાસ કરી શકે છે. આ લાભ મેળવવા માટે મૂળભૂત ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ, ધોરણ-10 અથવા 12 પાસ કરેલું હોવું જોઈએ, આવક મર્યાદા વિદ્યાર્થીઓ (ભાઈઓ) રૂ. 06 લાખ અને વિદ્યાર્થીનીઓ (બહેનો) માટે કોઈ મર્યાદા નથી સાથે સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ મેળવવો જરૂરી છે. મેનેજમેન્ટ ક્વોટા/ NRI ક્વોટા/ સ્પોર્ટ્સ ક્વોટામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને લાભ મળવાપાત્ર નથી. ફ્રી શિપ કાર્ડ મેળવી ‘ડિજિટલ ગુજરાત પોર્ટલ’ પર શિષ્યવૃત્તિ માટે અરજી કરવી અનિવાર્ય છે.
પાત્રતા સાથે રસ ધરાવતા વિદ્યાર્થીઓએ એડમીશન લેતા પહેલા કાર્ડ માટે ‘ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી સાથે મુખ્ય દસ્તાવેજો તરીકે જાતિ દાખલો, પિતાના આવકના દાખલની નકલ, ધોરણ 10 અને ત્યારબાદ તમામ અભ્યાસક્રમના તમામ પરિણામની નકલ, શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ, બેંક પાસબુકના માટે પ્રથમ પાનાંની નકલ, જરૂર જાણાય તો રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, મરણના દાખલાની નકલ તથા અધિકારી કક્ષાએથી જણાવવામાં આવતા અન્ય પુરાવા આપવાના રહે છે.
ગુજરાત સરકારની અભ્યાસ ફ્રી શિપ કાર્ડ યોજના આજે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના અસંખ્ય તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આશાનું નવું કિરણ બની છે. મોરબી જિલ્લાના સામાન્ય પરીવારની પુત્રી ઉર્વશીબેનની ઉચ્ચ અભ્યાસ માટેની સફર એ વાતની પ્રતીતિ કરાવે છે કે જો દ્રઢ સંકલ્પ અને યોગ્ય સરકારી પ્રોત્સાહન મળે, તો આર્થિક મુશ્કેલીઓ ક્યારેય પ્રગતિના પંથે અડચણ બની શકતી નથી.

