મોરબીની શ્રી મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયની SSC 1994ની બેચના 32 વર્ષ પહેલાં છૂટા પડેલા 32 મિત્રો લાંબા સમય બાદ ફરી એક મંચ પર મળ્યા હતા. વર્ષો બાદ યોજાયેલા આ મિલન સમારોહમાં જૂના મિત્રો વચ્ચે લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું અને સૌએ શાળાજીવનની સંખ્યાબંધ યાદોને તાજી કરી હતી.
ધોરણ-10 પૂર્ણ કર્યા બાદ જીવનમાં અલગ-અલગ ક્ષેત્રોમાં આગળ વધેલા મિત્રો ત્રણ દાયકાથી વધુ સમય પછી એકબીજાને મળ્યા ત્યારે જાણે સમય થંભી ગયો હોય તેવી લાગણી અનુભવાઈ હતી. કોઈ વેપાર ક્ષેત્રે, કોઈ શિક્ષણ ક્ષેત્રે, કોઈ ઉદ્યોગ ક્ષેત્રે તો કોઈ સરકારી સેવામાં પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે. વર્ષો દરમિયાન ચહેરા બદલાયા, વાળમાં સફેદી આવી અને જીવનમાં અનેક બદલાવ આવ્યા, પરંતુ મિત્રતાની લાગણી આજે પણ એટલી જ અડગ જોવા મળી હતી.
મિલન દરમિયાન મિત્રોએ શાળાના વર્ગખંડ, હોસ્ટેલ જીવન, સાથે નાસ્તો વહેંચીને ખાવાની મજા, બાળપણની મસ્તી, શિક્ષકોની શિસ્ત અને પરીક્ષાના દિવસોની યાદોને વાગોળી હતી. શિક્ષકોની ડાંટ તેમજ તેમની આગવી શૈલી અને વર્ગખંડમાં કરેલી મસ્તીની વાતોએ સમગ્ર વાતાવરણને હાસ્ય અને આનંદથી ભર્યું હતું. આ પ્રસંગ માત્ર સ્નેહભોજન પૂરતો મર્યાદિત રહ્યો નહોતો, પરંતુ ત્રણ દાયકાથી વધુ જૂની મિત્રતાને ફરી જીવંત કરવાનો અવસર બન્યો હતો. સૌ મિત્રોએ સાથે બેસીને ભોજન લીધું અને જીવનની વ્યસ્તતા વચ્ચે પણ સાચા સંબંધોનું મહત્વ અનુભવી કહ્યું કે સમય અને અંતર મિત્રતાને નબળી પાડી શકતા નથી.
મિત્રોના આ પુનર્મિલને એક સંદેશ પણ આપ્યો કે, જીવનની સાચી સંપત્તિ માત્ર ભૌતિક સફળતા કે આર્થિક સમૃદ્ધિમાં નહીં, પરંતુ મુશ્કેલીના સમયે સાથ આપે તેવા સાચા મિત્રોમાં રહેલી છે. 32 વર્ષના અંતરાલ બાદ થયેલું આ મિલન સૌ માટે યાદગાર બની રહ્યું હતું. મિલનના અંતે મિત્રોએ ફરીથી મળવાનું નક્કી કરી એકબીજાને વિદાય આપી હતી. લાંબા સમય બાદ થયેલા આ ભાવનાત્મક પુનર્મિલનથી 1994ની બેચના મિત્રોના જીવનમાં બાળપણની યાદો ફરી તાજી થઈ હતી.

